




૩૬ એકરના ઉમાસર તળાવાના ખાણેતરાથી સફાઇ અને તળાવ વિકાસનો પ્રારંભ
વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે ભુજ મધ્યે ૩૬ એકરના ઉમાસર તળાવના ખાણેતરું કરાવી સફાઇકામ અને તળાવ વિકાસ કામનો પ્રારંભ કરાવ્યો હતો.ભુજ શહેરના હાર્દ સમા હમીરસરને બારેમાસ છલોછલ રાખવાના શુભાશયથી ઉમાસર તળાવથી ૨૪ કુવા આવ પુનઃસ્થાપન માટે સુજ્ઞ શહેરીજનોની વિકાસ ચાહના પ્રશંસનીય છે એમ આ તકે અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું.સમસ્ત મહાજન અને ભુજ નગરપાલિકાના સહયોગથી જળસ્ત્રોતના સ્ત્રાવ પુનઃ જીવીત કરવાના ગ્રામ વિકાસ પરિયોજના અન્વયે પ્રારંભ થયેલા આ કામ બાબતે વધુમાં જણાવતાં અધ્યક્ષાશ્રીએ કહયું હતું કે, પ્રવાસનનું કેન્દ્ર બનતા ભુજમાં જળ અને વૃક્ષથી હરિયાળી છવાશે. સદભાવના પરિવારના સહયોગથી ૭૫ હજાર વૃક્ષો અને સમસ્ત મહાજન અને નગરપાલિકા ભુજના સંયુકત પ્રયાસોથી જળસ્ત્રવો પુનઃ સજીવ થશે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ વડાપ્રધાનશ્રીના આ વિચારને આવા કામો દ્વારા આપણે સાર્થક કરી રહયા છીએ.સમસ્ત મહાજનના અગ્રણીશ્રી દેવાંગભાઇ ગઢવીએ પ્રાસંગિકમાં અન્ય રાજયો કરતા જળસ્ત્રોત, પાણી સુવિધા માટે આપણા રાજયમાં વધુ સુવિધા છે તે માટેના ઉદાહરણ અને તેમણે કરેલા વિકાસ કામો અને સંસ્થાના ધ્યેય લોકભાગીદારીથી સરકારના સહયોગથી વિકાસના આશયને રજુ કર્યો હતો.ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકરે આ તકે જણાવ્યું હતું કે, ઉમાસર તળાવના ખાણેતરા, ગાંડાબાવળ સફાઇ અને ચોવીસ કુવા આવના પગલે ચોમાસા પૂર્વે આ કામગીરી થઇ રહી છે. ઉનાળામાં પાણી રહે તે માટે તેમજ સંરક્ષણ દિવાલની કામગીરી નગરજનોનો સહયોગ મળવાથી પુનઃ આ તળાવ જીવીત થઇ હમીરસરને છલકાવશે.આ કાર્યક્રમમાં મહાજન સંસ્થાના હિતેશ શાહ, દેવાંગભાઇ ગઢવી, બાલકૃષ્ણભાઇ મોતા, અગ્રણીશ્રી જળસ્ત્રાવ સંશોધકશ્રી કાંતિલાલ પટેલ, પક્ષીવિદશ્રી નવીનભાઇ બાપટ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, નગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન સર્વશ્રી કમલભાઇ ગઢવી, રાજેશભાઇ ગોર, મનુભા જાડેજા, ધીરેનભાઇ લાલન, હનીફભાઇ માંજોઠી, ઘનશ્યામભાઇ સી.ઠકકર, ચીફ ઓફીસરશ્રી જીગરભાઇ પટેલ, ઈજનેરશ્રી ભાવિકભાઇ ઠકકર, નગર સેવક સર્વશ્રીઓ તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહયા હતા.