આદિવાસીનો દિકરો પાયલોટ બનીને વિમાન ઉડાવતો થયો છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી ગરીબ લોકોના ઘરના ધરનું સ્વપ્ન સાકાર થયું છે -જિલ્લા પ્રભારીમંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી
આદિવાસીનો દિકરો પાયલોટ બનીને વિમાન ઉડાવતો થયો છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી ગરીબ લોકોના ઘરના ધરનું સ્વપ્ન સાકાર થયું છે -જિલ્લા પ્રભારીમંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી
શૈશવ રાવ
રાજપીપલા સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કેન્દ્રીય નાણાં વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ.ભાગવત કારડ, ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, યાત્રાધામ વિકાસના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, જિલ્લાના અગ્રણી અને ધારીખેડા સુગર તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર સહિત અન્ય પદાધિકારીઓ અને વિવિધ યોજનાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા, સુશાસન અને કેન્દ્ર સરકારના ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓ સાથે યોજાયેલા સંવાદ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય ધ્વારા ખુલ્લો મૂકાયો હતો. સમારંભના અધ્યક્ષસ્થાનેથી કેન્દ્રીય નાણાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.ભાગવત કારડે ઉપસ્થિત વિવિધ યોજનાના લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત એક વિકસિત રાજ્ય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુસાશનના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુસાશન સપ્તાહ સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાનના શપથ લીધા બાદ, પ્રધાનસેવક બની દેશની જનતાની સાચી સેવા કરવા લોકશાહીના મંદિરને નમન કરીને લીધેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ કરી રહ્યાં છે. દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે તેમની જરૂરિયાત મુજબની અલગ અલગ યોજનાઓ બનાવી તેના થકી લાભાન્વિત કર્યા છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના જેવી વિવિધ યોજનાઓના લાભ લઈને આજે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પોતાનું જીવનધોરણ ઊંચુ લાવી શક્યા છે, તેમ પણ શ્રી કારડે ઉમેર્યું હતું.
સમારંભના અતિથિવિશેષ પદેથી ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનધન ખાતાના માધ્યમથી સીધી જ તેમના ખાતામાં નાણાંકીય સહાય મળતાં હવે સાચા લાભાર્થી સુધી સરકારની સહાય પહોંચતી થઈ છે. ૭૫ વર્ષ પૂર્વે દેશને મળેલી આઝાદીનો સ્વરાજ અને સુસાશનનો આશય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૪ થી દેશના વિકાસની દિશા બદલાઈ અને તેના થકી જ આજે આદિવાસીનો દિકરો પાયલોટ બનીને વિમાન ઉડાવતો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી ગરીબ લોકોના ઘરના ધરનું સ્વપ્ન સાકાર થયું છે, તેમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો સાથે તેમને મળેલા લાભ થકી પોતાના જીવન અને પરિવારમાં આવેલા પરિવર્તનો અંગે સંવાદ કર્યો હતો અને યોજનાના લાભો અંગે તેમના હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતાં
કાર્યક્રમના પ્રારંભે જિલ્લાના અગ્રણી અને સહકારી આગેવાનશ્રી ઘનશ્યાભાઈ પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની ભૂમિકા બાંધવાની સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી નર્મદા જિલ્લામાં આવેલા પરિણામોની છણાવટ કરી હતી.