


આદિવાસીઓને મુખ્યધારમા લાવવા માટે શિક્ષણ એક માત્ર ઉપાય – મંત્રી શ્રી નરેશભાઈ પટેલ
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૫: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ સહિત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો સંભાળતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની ઝાવડા, કોયલીપાડા, અને ચીકાર પ્રાથમિક શાળામા ‘કન્યા કેળવણી’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખુબજ જરૂરી છે. આદિવાસીઓને મુખ્ય ધારામા લાવવા હોય, તો શિક્ષણ જ એક માત્ર ઉપાય છે. ગુજરાત સરકાર શિક્ષણ બાબતે ખૂબ જ ચિંતિત છે. સરકાર દ્વારા શાળાઓમા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓની સાથે ઉત્તમ શિક્ષકો ઉપલબ્ધ કરાવ્યા છે. જેના કારણે ખાનગી શાળામાથી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામા ભણાવવા લાગ્યા છે. ‘કન્યા કેળવણી’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમો થકી સરકાર સમાજને સો ટકા સાક્ષરતા તરફ લઈ જઈ રહી છે. દેશને આત્મનિર્ભર બનાવવાની પણ મંત્રીશ્રીએ આ વેળા નેમ વ્યક્ત કરી હતી.
વાલીઓને સૂચનો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, નિયમિત બાળકોને શાળામા મોકલવા, ચોક્કસસાઈ, વાંચન, લેશન, સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ, અને શિક્ષણ બાબતે ધ્યાન રાખવુ. શિક્ષણની જવાબદારી ફક્ત શિક્ષકોની જ નહીં, પરંતુ બાળકના માતાપિતાની પણ છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીતે પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાની તમામ શાળાના ગુરુજનો ખુબજ મહેનત કરે છે. જેના કારણે ડાંગ જિલ્લાનુ પરિણામ ખૂબ જ સારુ આવે છે. સામાન્ય પ્રવાહમા ધોરણ-૧૨ નુ પરિણામ, સમગ્ર ગુજરાતમા પ્રથમ ક્રમે રહ્યુ છે. વડાપ્રધાનશ્રી દ્વારા મહિલાઓને ૫૦ % અનામત આપી, અને જેના કારણે મહિલાઓ પુરુષ સમોવડી બની ગઈ છે. તેમણે વધુમા જણાવ્યુ કે, બાળકો શિક્ષિત બને તે માટે ફક્ત શાળાના શિક્ષકોની જ નહીં, પરંતુ માતાપિતાની પણ મુખ્ય જવાબદારી છે.
મંત્રીશ્રી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા શાળા અને આંગણવાડીમા પ્રવેશ મેળવનાર બાળકોને કીટ વિતરણ કરી સ્વાગત કરાયુ હતુ. ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમા વિદ્યાર્થીઓએ ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘વૃક્ષો વાવો’, વિષય ઉપર નિબંધ રજૂ કર્યા હતા. ધોરણ ૩ થી ૮ ના શાળામા પ્રથમ આવનાર બાળકો, તેમજ શાળામા સો ટકા હાજરી ધરાવનાર બાળકોને સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમમા આદિજાતિ વિકાસ અધિકારી શ્રી કનુજા, વઘઇ મામલતદાર શ્રી ચૌધરી, વઘઇ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ધનસુખભાઈ પટેલ, એસ.એમ.સી કમિટીના સભ્યો, ગામના સરપંચ, આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
