










નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારને રૂા.૧૧.૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી મેંધર સબસ્ટેશનનું લોકાર્પણ અને અમલસાડ સરીબુજરંગ છાપરા મેંધર ૧૧ કી.મી પર રૂા.૯.૯૦ કરોડના વાયડનીંગ અને સ્ટ્રેન્ધનીંગના કામોનું ખાતમુહૂર્ત નાણાં અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ગામે ૬૬ કે.વી મેંધર સબ સ્ટેશનનું લોકાર્પણ અને ૧૧ કી.મી.રોડના વાયડનીંગ અને સ્ટ્રેન્ધનીંગનું સ્થળ પર ખાતમુહૂર્ત કર્યા બાદ અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ હોલ ખાતે આયોજિત સમારોહમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાણાં અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ નાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે આદિજાતી વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા રાજયમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આજે નવસારી જિલ્લામાં જે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નવનિર્મિત ૬૬ કે.વી મેંધર સબસ્ટેશન,અમલસાડ ગામે ઘનકચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટેનો પ્લાન્ટ, અમૃત સરોવર યોજના હેઠળ નવનિર્મિત તળાવ તથા અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંસ્કૃતિક સંકુલનું લોકાર્પણ ઉપરાંત અમલસાડ સરીબુજરંગ છાપરા મેંધર રોડના ૧૧ કી.મીના વાયડનીંગ અને સ્ટ્રેન્ધનીંગનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું . ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, મેંધર સબસ્ટેશનથી આજુબાજુના ૧૦ કી.મી. વિસ્તારમાં આવેલા રહેણાંક, વાણીજ્યક, ઔદ્યોગિક, પાણીપુરવઠા, સ્ટ્રીટ લાઇટ અને એચ.ટી એમ મળીને કુલ ૬ ગામોના અંદાજે ત્રણ હજારથી વધુ લાભાર્થીઓ (વીજ ગ્રાહકો) ને ગુણવતાસભર વીજળી પૂરતા દબાણથી પૂરી પાડી શકાશે. વિવિધ યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કામો કરવા સરકાર કટિબધ્ધ છે. આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે વરસાદ જેવી સ્થિતિમાં પણ સરકારની વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ રહયાનું જણાવી આજે થયેલા લોકાર્પણના કામ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થયો છે સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા કરેલ શ્રેષ્ઠ કામગીરીનો ઉલ્લેખ કરતા આજે દરેક ગરીબના ઘરે અન્ન પહોચાડીને ગરીબોને ભૂખ્યા પેટે સુવા નથી દીધા તે માટે વહીવટ તંત્રને અભિનંદન પાઠવ્યાં હતા. નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થઈ રહેલા વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ માત્ર સરકારનાં પ્રયત્નોથી નથી થઈ રહ્યા પણ તેમાં જન ભાગીદારીનો અમુલ્ય ફાળો રહેલો છે,જેથી જન-જનનો સર્વાંગી વિકાસ એ જ સંકલ્પ અને વિવિધ વિકાસ કામો માટે કાર્ય કરવા સરકાર હંમેશા કટિબધ્ધ રહી છે. નવસારીના ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ પ્રાસંગિક ઉદૃબોધન કરતા કહ્યું હતું કે આજે નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે કારણકે વીજળી, રોડ, સ્વચ્છતાના અને સાંકૃતિક ક્ષેત્રેના વિકાસના કામોની ભેટ આજે નવસારીની જનતાને મળી છે જે નવસારીના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. મેંધર સબ સ્ટેશન લોકાર્પણ અને રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જેટકોના અધિક્ષક ઇજનેર શ્રી એ.એ. દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.
