
સ્વયંસેવકો સાત દિવસ જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે
હે ઉ ગુ યુનિ.પાટણના એનએસએસ વિભાગ પ્રેરિત અને થરાદની સરકારી વિજ્ઞાન કૉલેજ આયોજિત યુવા જનજાગૃતિ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ મલુપુર પ્રાથમિક શાળા તા.થરાદ મુકામે યોજાયો.
આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને કેલવણીકાર પાંચાભાઈ માળીએ દીપ પ્રગટાવી શિબિરનું ઉદઘાટન કર્યુ હતું. શ્રી સરસ્વતી વિધ્યાસંકુલ થરાદના ટ્રસ્ટી અને સામાજિક અગ્રણી શ્રી નાગજીભાઈ ડી. રાજપૂત તથા ભારત વિકાસ પરિષદ થરાદના પૂર્વ પ્રમુખ શ્રી નરસિંહભાઈ ચૌધરી(ભારત ગેસ ) મુખ્ય મહેમાન તરીકે અને શ્રી શિવાભાઈ એમ. ખટાણા (આચાર્યશ્રી પ્રા શાળા) અતિથિ તરીકે ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રિ ડો જગદીશ એચ પ્રજાપતિના માર્ગદર્શનમાં આયોજિત આ સાત દિવસીય શિબિરનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા. રુદ્ર દવે અને પ્રા ડો રાજેશ મારું કરી રહ્યા છે. શિબિરમાં કુલ 50 સ્વયંસેવક ભાઈ બહેનો જોડાયા છે. શિબિરમાં સ્વયંસેવકો પ્રભાતફેરી, શ્રમ-સફાઈ, યોગ- પ્રાણાયામ- સૂર્યનમસ્કાર, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, બ્લડગ્રૂપ ચેકિંગ, નિઃશુલ્ક ચશ્માશિબિર, પ્રાકૃતિક ખેતી, ગાયત્રી દીપયજ્ઞ, સ્ત્રીસશક્તિકરણ, સાયબર ક્રાઈમ અવેરનેસ, વડીલ વંદના, વિવિધ સ્પર્ધાઓ, બાલતંદુરસ્તી, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે.

ઉદ્ઘાટન કાર્યક્રમની ઉદ્ઘોષિકા તરીકે કૉલેજની વિધ્યાર્થિની કુ.પિનલ સુથાર અને કુ. કાજલ દરજી જવાબદારી નિભાવી હતી. ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રિ ડો જગદીશ પ્રજાપતિએ કર્યુ હતું. પ્રાથમિક શાળાના બાલકોએ પ્રાર્થના અને સ્વાગત ગીતનૃત્ય રજુ કર્યુ હતું. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. રુદ્ર દવેએ શિબિરનો હેતુ અને રૂપ રેખા આપી હતી.
શ્રી નાગજીભાઈ ડી. રાજપૂતે વિદ્યાર્થીઓને આહ્વાન કર્યુ કે તેઓએ સેવાકાર્ય થકી જીવનમાં કઈક સારું કરવું જેથી દુનિયા યાદ કરે. શ્રી પાંચાભાઈ માળીએ પોતાના જીવનનાં અનુભવો વ્યક્ત કરી વિદ્યાર્થીઓને સામાજિક સમરસતા માટે અગ્રેસર થવા પ્રેરણા આપી હતી. પ્રા. ડો. રાજેશ મારુએ આભારવિધિ કરી હતી. અંતે સૌએ રાષ્ટ્રગાન કર્યુ હતું.
