
રાજ્ય સરકારના સતત પ્રયાસોથી પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતી થઈ છે

માંડવીના નવા સર્કીટ હાઉસથી જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ અને અધિકારીઓની સુવિધાઓમાં વધારો થશે : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૩.૩૯ કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્રામ ગૃહનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરાયું હતું. માંડવીમાં ત્રણ વીવીઆઇપી રૂમ, ચાર વીઆઇપી રૂમ અને ડાઇનિંગ હોલ જેવી આધુનિક સુવિધાઓ સાથેનું વિશ્રામગૃહ નિર્માણ થશે. તાપી નદીના તટ પર તૈયાર થનારા વિશ્રામ ગૃહથી સરકારી તેમજ પદાધિકારીઓના રોકાણ માટે ઉત્તમ સગવડ મળી રહેશે. આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, માંડવીનું જૂનું સર્કિટ હાઉસ વર્ષો પહેલા નિર્માણ પામ્યું હોવાથી વર્તમાન જરૂરિયાતને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવું વિશ્રામ ગૃહ બનાવાશે. જેનાથી જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ અને અધિકારીઓને રોકાણ માટેની બહેતર સુવિધાઓ મળી રહેશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસોથી પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતી થઈ છે. આદિજાતિ નાગરિકોના ઉત્થાન સહિત સ્થાનિક વિસ્તારમાં રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ વિકાસકામોની ભેટ ધરી છે, જેના કારણે લોકસુવિધાઓમાં વધારો થયો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, તા.પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર, જિલ્લા પંચાયતના સભ્યો ગીતાબેન, ચેતનાબેન પટેલ, અનિલભાઈ, નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, માંડવી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મનિષભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર અમિષભાઈ પટેલ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
