

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખ ત્રીજી નવેમ્બર ૨૦૨૪ના રોજ સમગ્ર રાષ્ટ્રમા શૈક્ષણિક સિદ્ધિ માપન અંગેનો એક શૈક્ષણિક સર્વે એકી સાથે, અને એક જ સમયે યોજાનાર છે. આ સર્વે દેશનો શિક્ષણ વિભાગનો સૌથી મોટો શૈક્ષણિક સર્વે હશે. જેમા ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં પણ આ સર્વે થનાર છે. ગુજરાતમા સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે ધોરણ-૩, ૬ અને ૯ ના બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટેનો આ પ્રયાસ છે. આ શૈક્ષણિક સિદ્ધિના આધારે ભવિષ્યની શિક્ષણની રણનીતિ નક્કી થશે. આ માટે ડાંગ જિલ્લાની ૫૪ જેટલી માધ્યમિક શાળાઓ, અને પ્રાથમિક વિભાગની ૮૯ જેટલી શાળાઓમાથી ૪૨૯૦ જેટલા બાળકો ભાગ લેશે. સર્વે અંતર્ગત ધોરણ-૩મા ભાષા, ગણિત, અને પર્યાવરણ વિષય આધારિત ૬૦ મિનિટની એક કસોટી હશે. જ્યારે ધોરણ-૬ના બાળકો માટે ૭૫ મિનિટ, અને ધોરણ-૯ના બાળકો માટે ૯૦ મિનિટની ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, તથા સામાજિક વિજ્ઞાન વિષય આધારિત કસોટી હશે. તદુપરાંત શાળાનું ભૌતિક સંશાધન અને તેનું ઉપયોજન સંદર્ભે પ્રશ્નાવલી શાળાના આચાર્યશ્રી ભરશે. ભાષા અને ગણિત વિષય ભણાવવા શિક્ષકો વિષય આધારિત પ્રશ્નાવલી પણ ભરશે. આ સર્વેક્ષણ તટસ્થ અને સારી રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈના પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉત, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ દેશમુખ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રભાઇ ઠાકરેએ સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢયું છે. આ સર્વેક્ષણ માટે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે ડાયટના ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓ, અને એસ.એસ.માહલા કોલેજના તાલીમાર્થીઓ સેવા આપશે. સદર સર્વેક્ષણ અંગે આ તમામ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટરને તાલીમબદ્ધ પણ કરવામા આવ્યા છે.આ સમગ્ર કામગીરી માટે ડિસ્ટીકટ લેવલ કો-ઓર્ડીનેટર તરીકે પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નિયુક્ત કરાયા છે.-
