
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે મહાનગરપાલિકા સદસ્ય કાર્યશાળાનો આરંભ કરાવ્યો. જેના પ્રથમ સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશ જ નહીં પણ દુનિયાભરના લોકોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર ખૂબ વિશ્વાસ છે. તેમના નેતૃત્વ અને નીતિને કારણે દુનિયાના અનેક દેશો ભારત સાથે કારોબાર કરવા ઉત્સુક છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ સમીટ નિમિતે પોતાની જાપાન અને સિંગાપોરની યાત્રાના અનુભવ વર્ણવ્યા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે વિદેશી કારોબારીઓ અને રોકાણકારોની પહેલી પસંદ ગુજરાત બન્યું છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સહુનો સહયોગ જરૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
આગામી સમયમાં ગુજરાતમાં રોકાણ અને કારોબારમાં વધારો થવાથી અમદાવાદના વિકાસને પણ વેગ મળશે એમ જણાવી તેમણે સ્વચ્છતા, રોડ-રસ્તાઓ સહિતની માળખાકીય સુવિધા બાબતે ચોક્કસાઈ રાખવા તેમણે કાઉન્સિલર્સને ટકોર પણ કરી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત તમામ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાના માણસનું હિત સમાયેલું હોય છે. આ યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરવાની આપણી સહિયારી જવાબદારી છે. એમ તેમણે ઉમેર્યું હતું.

આયુષ્યમાન ભારત યોજનાને દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના ગણાવી તેમણે કહ્યું કે, આ યોજનાથી આજે ગરીબ લોકોને ગંભીર રોગોની સારવાર નિઃશુલ્ક મળી રહી છે. આયુષ્યમાન યોજના એ શ્રી નરેન્દ્રભાઇએ આપેલી સુસ્વસ્થયની ગેરેન્ટી છે. એમ તેમણે ઉમેર્યું હતું.

કોરોનાકાળનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રસીકરણ અભિયાન દરમિયાન ડિજિટલ ઇન્ડીયાની સફળતા આખી દુનિયાએ જોઈ. સાથોસાથ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ સહિતની જનકલ્યાણની યોજનાઓની ૧૦૦% અમલવારી થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. એમ તેમણે ઉમેર્યું હતું.
આજના પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના વિકાસના વિવિધ પ્રકલ્પો દર્શાવતી પ્રદર્શની પણ ખુલ્લી મૂકી હતી.
આ અવસરે અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ, અમદાવાદ શહેર મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન તથા કાઉન્સિલરશ્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
