







માંડવી તાલુકાની પરવટ, ખોડઆંબા, ફળી, તરસાડા-ખુર્દ, આંબા, વરેલી, નંદપોર, ધરમપુર ગ્રામ પંચાયતને પાણીના ટેન્કરો ફાળવાયા
મંત્રી કુંવરજીભાઈએ લોકોની સુવિધા માટે પોતાની ‘ધારાસભ્ય અનુદાન રાશિ’માંથી ટેન્કરો અર્પણ કર્યા
ગામડાઓના વિકાસથી દેશના વિકાસનું ધ્યેય રાજ્ય અને કેન્દ્ર સરકારે રાખ્યું છે: આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ
રિપોર્ટ, મયુર પટેલ ,સુરત જિલ્લાના માંડવી તાલુકાનું કૃષિ મંગલ હોલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સામુદાયિક હેતુ માટે એક ટેન્કરના અઢી લાખ એમ કુલ રૂ.૨૦ લાખના ખર્ચે પીવાનાં પાણીના ૦૮ ટેન્કરોનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કુંવરજીભાઈએ લોકોની સુવિધા માટે પોતાની ૨૦૨૩-૨૪ની ‘ધારાસભ્ય અનુદાન રાશિ’માંથી માંડવી તાલુકાની પરવટ, ખોડઆંબા, ફળી, તરસાડા-ખુર્દ, આંબા, વરેલી, નંદપોર, ધરમપુર ગ્રામ પંચાયતને પાણીના ટેન્કર ફાળવ્યા છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા, રહેઠાણ સહિતની પ્રાથમિક સુવિધાઓ રાજ્ય સરકારના નેજા હેઠળ સતત વધી રહી છે. ગુજરાતનો વિકાસ દેશમાં મોડેલ સમાન બન્યો છે, ત્યારે વિકાસની સાથોસાથ સમાજમાં સુખાકારી વધે તે પણ જરૂરી છે. એટલે જ ભારતનું ગામડુ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ બને તે દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે શિક્ષણ, આરોગ્ય અને માર્ગ સહિત જીવન જરૂરિયાતની અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ગામડાઓના વિકાસથી દેશના વિકાસનું ધ્યેય રાજ્ય અને કેન્દ્ર સરકારે રાખ્યું છે.
તેમણે વિકાસની દિશામાં ભારત ને આગળ વધારવાનો આ યોગ્ય સમય છે એમ જણાવી વર્ષ ૨૦૪૭માં ભારત દેશ સંપૂર્ણ વિકસિત બને તે આપણું સૌનું લક્ષ્ય અને સંકલ્પ હોવા જોઈએ એમ ભારપૂર્વક કહ્યું હતું.
વધુમાં મંત્રી શ્રી એ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘સિકલસેલ એનિમિયા મુક્તિ મિશન’ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં સૌએ સાથે મળીને આદિજાતિ વિસ્તારમાંથી સિકલસેલ એનિમિયા નાબૂદ થાય એવા ધ્યેય સાથે કામ કરવા હાંકલ કરી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિહ સોલંકી, તા.પંચાયતના પ્રમુખ દિલીપ ચૌધરી, APMCના ડિરેક્ટર અનિલ વસાવા, મામલતદાર, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, સરપંચ એસો.ના પ્રમુખ, વિવિધ ગામના સરપંચો, અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો, ઉપસ્થિત રહ્યા હતા.
