માણસા તાલુકાના જામળા ખાતે ‘૭૭મા વન મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી રાજ્યકક્ષાના આરોગ્ય, મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી

ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી સંપન્ન

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૫૫૧ દેશી વૃક્ષોનું વાવેતર

આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં ૩૦૦થી વધુ બીલીના છોડ સહિત દેશી કુળના વિવિધ વૃક્ષોનું રોપણ

પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન જ આપણી સાચી સંસ્કૃતિ: આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં મંત્રીશ્રીએ પર્યાવરણ જતન, પ્રાકૃતિક ખેતી અને વ્યસનમુક્તિ માટે આહ્વાન કર્યું

ભેળસેળિયાઓ અને પ્રદૂષણ ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે, સમાજને સહયોગ આપવા વિનંતી

 

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ખાતે આવેલ પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં ‘૭૭મા વન મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી રાજ્યકક્ષાના આરોગ્ય, મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ આસુદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પર્યાવરણ જાગૃતિ અર્થે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપવાની સાથે પવિત્ર બીલી, આંબો, લીમડો અને આસોપાલવ જેવા ૫૫૧ દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.

મંત્રીશ્રીએ વન મહોત્સવમા નાગરિકોને સહભાગી બનવા અપીલ કરતાજણાવ્યું હતું કે, કનૈયાલાલ મુનશી જેવા તત્વચિંતકો અને ઋષિમુનિઓએ આપણને પ્રકૃતિ પૂજનની ભેટ આપી છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રની ભૂમિ પર પીપળાના વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવીને વનસ્પતિમાં પણ જીવ હોવાનો સંકેત ૫૦૦૦ વર્ષ પહેલાં જ આપી દીધો હતો.

વધુમાં પ્રદૂષણ સામે ચેતવણી આપતાં મંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે,હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. વાયુ, જળ અને પૃથ્વીને આપણા શાસ્ત્રોમાં દેવ અને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સૌને વૃક્ષારોપણ અને તેના જતન માટે સંકલ્પ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા જનઆરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ (જેવા કે બનાવટી ઘી, માવો, કેમિકલયુક્ત સોસ વગેરે વેચનારા) સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંગે મંત્રીશ્રીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, આ અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે અને નાગરિકોને બહારનું અશુદ્ધ ખાવા-પીવાનું બંધ કરીને પૌષ્ટિક આહારની ટેવો માટે જાગૃત થવા અપીલ કરી હતી.

તદુપરાંત રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોની અને ‘સદભાવના’ અને ‘ગ્રીન આર્મી’ જેવી સંસ્થાઓના વૃક્ષારોપણના કાર્યોની મંત્રીશ્રીએ સરાહના કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતને હરિયાળું અને સ્વસ્થ બનાવવા માટે સરકાર અને સમાજે એકજૂથ થઈને કાર્ય કરવા આહ્વાન કરી સૌને વ્યસનમુક્ત અને રાષ્ટ્રવાદના મંત્ર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે માણસાના ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલે જણાવ્યું હતું કે જીવનમાં જન્મ, લગ્ન કે પુણ્યતિથિ જેવા દરેક પ્રસંગે વૃક્ષો વાવવા જોઈએ. વિશાળ પક્ષીઘર પણ એક વડલાની તોલે આવી શકતું નથી. વિકાસની પ્રક્રિયામાં વૃક્ષનું છેદન થાય તો તેની સામે દસ ગણા વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો એ જ પ્રકૃતિનું સાચું જતન છે.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી રવિરાજસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કરી વન મહોત્સવની પ્રસ્તાવના રજૂ કરી હતી. આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે, DDO શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, DFO સહિતના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *