
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવી કાલીના આશીર્વાદ લઈને પોતાની બે દિવસીય બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસની શરૂઆત કરી. પ્રધાનમંત્રીએ સતખિરામાં જેશોરેશ્વરી કાલી શક્તિપીઠમાં પૂજા કરી, જે એક પૌરાણિક પરંપરા અનુસાર 51 શક્તિપીઠોમાંની એક છે. પ્રધાનમંત્રીએ દેવી કાલીને સોનાના ઢોળ સાથેના ચાંદીનો હસ્તનિર્મિત મુકુટ પણ અર્પણ કર્યો. આ મુકુટ સ્થાનિક કારીગરો દ્વારા ત્રણ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે.મિત્રતાનો હાથ લંબાવતા, પ્રધાનમંત્રીએ મંદિર સાથે સંકળાયેલા એક સામુદાયિક હોલ-ચક્રવાત સમયના આશ્રયસ્થાનના નિર્માણ માટે અનુદાનની ઘોષણા કરી. આ ઈમારતનો ઉપયોગ મંદિરની વાર્ષિક કાલી પૂજા અને મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવશે અને તમામ ધર્મોના વ્યાપક સમુદાય દ્વારા તેનો ઉપયોગ ચક્રવાતના સમયે આશ્રયસ્થાન તરીકે પણ કરવામાં આવશે.




