
ભારતીય તટરક્ષક દળ (ઉત્તર પશ્ચિમ)ના પ્રાદેશિક વડામથક અને કમાન્ડ અંતર્ગત આવતા યુનિટ્સ દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ગાંધીનગર, પોરબંદર અને ઓખા ખાતે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ પ્રદેશ હેઠળ આવતા તમામ ભારતીય તટરક્ષક દળના યુનિટ્સે આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમુદ્રી પોલીસ, તટવર્તીય સમુદાય અને અન્ય નાગરિક એજન્સીઓએ પણ પોરબંદર અને ઓખા ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં સમાન જુસ્સા સાથે ભાગ લીધો હતો.
ગાંધીનગર ખાતે 03 ઑગસ્ટ 2021ના રોજ યોજવામાં આવેલી વોકેથોન અને સાઇક્લોથનમાં ભાગ લેનારા ભારતીય તટરક્ષક દળના 75 કર્મીઓમાં તટરક્ષક દળ પ્રદેશ કમાન્ડર (ઉત્તર પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા પણ સામેલ થયા હતા.

