
“વિકાસ કામો સમયસર સંપન્ન થાય તેની સાથે ગુણવત્તા પણ જળવાય એ એટલું જ જરૂરી છે”- મુખ્યમંત્રી શ્રી




મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે ગુજરાત સતત વિકાસની કેડીએ આગળ વધી રહ્યું છે ત્યારે વિકાસ કામો સમયસર સંપન્ન થાય તેની સાથે ગુણવત્તા પણ જળવાય એ એટલું જ જરૂરી છે.. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય ભરમાં રોડ રસ્તા મકાનોનું નિર્માણ એ વિકાસ પ્રક્રિયાને સતત વેગવાન રાખતું પરિબળ છે. સમગ્રતયા જોઈએ તો કન્ટ્રકશનના કામ તેજ ગતિએ કાર્યરત હોય છે, ત્યારે રાજ્ય સરકારે પણ ગુણવત્તાસભર કામોને પ્રાધાન્ય આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ નાગરિકને કાંઈ પણ તકલીફ પડે તો તેને નિવારવાની જવાબદારી રાજ્ય સરકારની છે. નાના મોટા અનેક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણને ” સૌનો સાથ – સૌનો વિકાસ” મંત્ર આપ્યો છે અને તેને ચરિતાર્થ કરીને અત્યારે આપણે “સૌનો પ્રયાસ- સૌનો વિશ્વાસ” હાંસલ કરી શક્યા છીએ.
મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, “આત્મનિર્ભર ભારત” નો સંકલ્પ વડાપ્રધાન શ્રી એ આપણને આપ્યો છે. જેને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરીશું. નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા લોકો કામની કિંમત નહી પણ ક્વોલિટી વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે એવી હિમાયત કરતા મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે ગુજરાતના વિકાસ નિર્માણ કાર્યમાં કોન્ટ્રાક્ટરોનો બહુ મોટો ફાળો રહેલો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને તેને ટકાવી રાખવાની જવાબદારી આપણા સૌની છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પોતાના સિવિલ એન્જિનિયર તરીકેના કાર્યકાળ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા
માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યું હતું કે : ” છેવાડાના માનવીના ઉત્થાન માટે રાજ્ય સરકાર સદાય તત્પર છે. ‘હર હાથ કો કામ- કામ કા સહી દામ’ પંડિત દિનદયાળ ઉપાધ્યાયના આ સૂત્રને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાર્થક કરી રહી છે. કોરોનાને કારણે બાંધકામમા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધતા નિર્માણ કાર્યોમાં અનેક વિસંગતતાઓ ઉભી થઇ અને તેથી રાજય સરકારે અનેક કરારોમા ફેરફાર કર્યા. જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો માટે હિતાવહ રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે “શહેર,રાજય અને દેશના વિકાસમા કન્ટ્રકશનનો બહુ મોટો ફાળો રહેલો છે.સાથોસાથ બાંધકામ વ્યવસાય એ અનેક લોકોને રોજગાર આપવામાં અગ્રેસર છે.
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે નિર્માણ કાર્યો દેશના વિકાસની ધરોહર છે.કોવિડ-૧૯ ના સમયગાળા દરમિયાન માલસામાનમા થયેલા ભાવવધારો કોન્ટ્રાક્ટરોને ચુકવવા તથા અન્ય પ્રશ્ન અંગે રાજય સરકારે હકારાત્મક અભિગમ રાખ્યો છે.તે બદલ ગુજરાતના કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ તથા જુદા જુદા વિભાગના સચિવશ્રીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ન્યાયિક ધોરણે માંગણીઓ સંતોષકારક રીતે પૂર્ણ થતા સરકારના જાહેર બાંધકામના વિકાસલક્ષી કામો ઝડપથી અને સમયસર પૂરા કરી શકાશે.જેનાથી રાજ્યનો વિકાસ તેમજ રાષ્ટ્રના વિકાસમાં ગતિ આવશે.
આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ.બી.વસાવા, એસોસિયેશનના ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ,વાઈસ ચેરમેન શ્રી કિશોરભાઈ વિરમગામા, વિવિધ કમિટી મેમ્બર્સ, જીલ્લાઓમાથી વિવિધ કોન્ટ્રાક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
