

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું રાણા સમાજના અગ્રણીઓએ અભિવાદન કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતની જનતાને જે ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, તેના પરિણામે યોજના-વિકાસકામોનો લાભ છેક છેવાડાના નાગરિક સુધી સુપેરે પહોંચતા થયા છે.

પ્રધાનમંત્રી જનધન યોજના, કિસાન સન્માનનિધિ યોજના, વગેરે દ્વારા ગુજરાત સરકારે વિવિધ વર્ગના નાગરિકોના સોશિયલ-ઈકોનોમિકલ અપલિફટમેન્ટનું કામ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આયોજિત રાણા સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યા હતા. રાણા સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યા બાદ ભારતવાસીઓએ અનેક મોટા અને લાભદાયી પ્રશાસનિક પરિવર્તનોની અનુભૂતિ
કરી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશા-દર્શનમાં દેશમાં ડિજિટલ ક્રાન્તિ થઈ, દેશમાં રિન્યુએબલ ઉર્જાના વપરાશનું ચલણ વધ્યું છે અને ભારતની પ્રતિષ્ઠા વિશ્વભરમાં નવી ઊંચાઈઓને પામી છે. વિશાળ ભૂ-ભાગ અને મોટી સંખ્યામાં વસતી ધરાવતો દેશ વિકસિત બનશે કે કેમ તેવા પ્રશ્નો વચ્ચે આદરણીય મોદીજીએ દેશનું નેતૃત્વ કરી એક ભારત-શ્રેષ્ઠ ભારતને સાકાર કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, યોગ્ય નેતા-લીડર મળે તો એક દેશ કેવા ક્રાન્તિકારી પગલાં ભરી શકે અને વિકાસના માર્ગે હરણફાળ ભરી શકે તેની પ્રતિતિ દેશવાસીઓને છેલ્લાં ૮ વર્ષમાં થઈ છે.દરેક સમાજને સાથે રાખી સૌનો સાથ-સૌનો વિકાસ સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે.
રાણા સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રીશ્રી રણજીતભાઈ ગિલીટવાલાએ કહ્યું કે, રાણા સમાજ શિક્ષિત અને દિક્ષિત બની વિકાસના પંથે અગ્રેસર બન્યો છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ રાણા સમાજ વધુ સક્ષમ અને સબળ બન્યો છે.
સંત શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજે કહ્યું કે, રાણા સમાજ ધર્મપ્રેમી સમાજ છે. ગુજરાત સરકારના સર્વસમાવેશી વિકાસના વલણને પરિણામે રાણા સમાજને પાછલા બે દાયકામાં આવશ્યક તમામ મદદ-સહકાર મળ્યા છે.
ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રાણાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતનો જે વિકાસ થયો છે. તેના પરિણામે સૌ સમાજ-વર્ગોનું સમર્થન બે દાયકાથી ભાજપા સરકારને મળી રહ્યું છે, અને આગળ પણ મળશે તેવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદય કાનગડ, શ્રી નવીનભાઈ
તેમજ રાણા સમાજના અગ્રણી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
