


નવસારી ખાતે પૂ. મોરારીબાપુની રામ ચરિત માનસ કથાનો પ્રારંભ મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા નવસારીના લુન્સીકુઇ મેદાન ખાતે પૂ.મોરારીબાપુની રામકથાનો આજથી પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રોતાજનો કથાશ્રવણનો લાભ લેવા ઉમટી પડયા હતાં. રામકથાના પ્રારંભમાં મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલે પૂ.મોરારીબાપુની અભિવાદન સ્વીકારી લાલવાણી પરિવારની લોકસેવાને બીરદાવતા જણાવ્યું હતું કે, કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુની કથા એટલે સત્ય, પ્રેમ અને કરૂણા. લાલવાણી પરિવાર થકી પૂ.બાપુનો કથા શ્રાવણનો લ્હાવો નવસારીના લોકોને મળ્યો છે. મોરારી બાપુની કથામાં આયોજકો દ્વારા મંડપમાં ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ હતી પ્રેમ કરુણા એને સત્ય એમ ત્રણ વિભાગમાં બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ હતી તો જેમાં સોફા ખુરશી સહિતની વ્યવસ્થા છે તો વળી મંડપમાં લોકોને તાપ ના લાગે તે માટે એસી, પંખા અને ફુવારા મુકાયા છે તો પ્રવેશ દ્વારે છાસ પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહયાં હતાં.