તમામ નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવીને વીર શહીદોને વંદન કરે  : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

આજરોજ ગાંધીધામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા રેલીનું આયોજન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ૨૫૦ મીટર લંબાઈનો તિરંગો નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રા ગાંધીધામ શહેરમાં ગાંધી માર્કટથી શરૂ થઈને ઝંડા ચોક સુધી પહોંચી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર‌ ઘર તિરંગા અભિયાન અને મારી માટી, મારો દેશ કાર્યક્રમનું આયોજન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ કરવામાં આવ્યું છે. સરહદી કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર ખાતેથી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ નાગરિકોને મારી માટી, મારો દેશઅભિયાનમાં જોડાઈને વીરોને વંદન કરવા આહ્વાન કર્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે અને તે દેશનો પ્રથમ જિલ્લો છે. ગૃહમંત્રીશ્રીએ ગાંધીધામની ધરતીને નમન કરીને વીરોને વંદન કર્યા હતા. નાગરિકોને ઘરે ઘરે તિરંગો લહેરાવીને વીર શહીદોને વંદન કરવા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ‘મારી માટી,મારો દેશકાર્યક્રમમાં ગામડે‌ ગામડેથી માટી એકઠી કરવામાં આવી રહી છે. આ ફક્ત માટી નથી પણ દેશની જનતાના આશીર્વાદ છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પોતાના પરિવારના વિવિધ શુભ પ્રસંગોમાં શહીદ પરિવારના સભ્યોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવા અપીલ કરી હતી.

ગાંધીધામ શહેરની ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી ઠેર-ઠેર વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો, વેપારીઓ દ્વારા તિરંગા રેલીને પુષ્પો સાથે વધાવી ગૃહ રાજ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું આવ્યું હતું. મંચ ઉપર સૌ મહાનુભાવોએ કચ્છી શાલ, પાઘડી અને કચ્છી ભરતકામ ભરેલી કોટિ પહેરાવીને ગૃહ રાજ્યમંત્રીશ્રીને આવકાર આપ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીશ્રીને સરહદી જિલ્લા કચ્છમાં આવકારીને પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, દેશના નામી-અનામી વીરોને યાદ કરવા, શહીદોના પરિવારોનું સન્માન કરવા તેમજ માટીને નમન કરવા માટે મારી માટી, મારો દેશકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોને મોટી સંખ્યામાં આ અભિયાનમાં સહભાગી થવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી નીમાબેન આચાર્ય, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી ઇશિતાબેન ટીલવાણી, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી ભરતસિંહ જાડેજા, શ્રી તેજાભાઇ કાનગડ, શ્રી ધનજીભાઈ હુંબલ, રેન્જ આઇજીશ્રી જે.આર.મોથાલિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, પ્રાંત અધિકારીશ્રી મેહુલ દેસાઈ, મામલતદાર શ્રી ભગીરથસિંહ ઝાલા સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, એનસીસી-એનએસએસ કેડેટ, સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, પોલીસ બેન્ડ, આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *