
ચંદ્રયાનના સફળ મિશનથી ઈસરોએ ભારતને જે સન્માન અપાવ્યું છે; તેના માટે ભારત હંમેશા ઋણી રહેશે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
ઈસરોના ચેરમેન ડૉ. એસ સોમનાથે આજે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે શ્રી આચાર્ય દેવવ્રતે પોતાની બેંગલોર ઈસરોની મુલાકાત દરમિયાનના સ્મરણો વાગોળ્યા હતા તેમજ ઈસરોના વૈજ્ઞાનિકોની તપસ્યા અને પરિશ્રમની પ્રશંસા કરી હતી.
રાજ્યપાલશ્રીએ ડૉ. એસ સોમનાથને જણાવ્યું હતું કે ચંદ્રયાનના સફળ મિશનથી ઈસરોએ ભારતને જે સન્માન અપાવ્યું છે; તેના માટે ભારત હંમેશા તેમનું ઋણી રહેશે. રાજ્યપાલશ્રીએ ઓછા ખર્ચે આટલું મોટું અભિયાન પાર પાડવા માટે ઇસરો તેમજ ડૉ. એસ સોમનાથને શુભેચ્છા પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન વરિષ્ઠ પરિયોજના વૈજ્ઞાનિક શ્રી રાજન પિલ્લઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ બંને મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું; જ્યારે ડૉ. એસ સોમનાથને રાજ્યપાલશ્રીને ચંદ્રયાનના લોંચિંગ માટે ઉપયોગમાં લેવાયેલા લોન્ચ વ્હિકલની પ્રતિકૃતિ ભેટ આપી હતી.