
અમદાવાદ (ભરત ભોગાયતા)
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો દ્વિતીય પદવીદાન સમારોહ તા.6 જાન્યુઆરી, 2024ના રોજ NFSU કેમ્પસ, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ પદે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષપદે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ, પ્રો. (ડૉ.) રમાશંકર દુબે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રિપબ્લિક ઓફ ઝિમ્બાબ્વેના શિક્ષણ મંત્રી શ્રી એડસન મોયો, રવાન્ડાના ભારત ખાતેના હાઇકમિશનર જેકેલિન મુકાન્ગિરા ખાસ આમંત્રિત મહાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ-2022-23માં ઉત્તીર્ણ થયેલા કુલ 48 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે. ઉપરાંત, જ્યારે યુનિવર્સિટીના કુલ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. જેમાં 23 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રીનો સમાવેશ થાય છે. મુખ્ય અતિથિ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ન્યાયસંગત સમાજ-ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં NFSUના વિદ્યાર્થીઓનું વિવેકપૂર્ણ યોગદાન ભારતને આગામી સમયમાં સુરાજ્ય-રામરાજ્ય તરફ આગળ ધપાવશે. વસુધૈવ કુટુમ્બકમ્-ની ભાવનાને ચરિતાર્થ કરવા માટે વિદ્યાર્થીઓ વ્યક્તિગત વિચારથી આગળ વધીને 21મી સદીમાં ભારતને વિશ્વસ્તરે આગળ વધારે તે સમયની માગ છે. સ્પર્ધાત્મક દુનિયામાં ભૌતિકતાની સાથે ભારતીય આધ્યાત્મિકતા પણ ખૂબ મહત્ત્વની છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિ-2020ના ભાગરૂપે NFSU ખરા અર્થમાં મલ્ટી-ડિસિપ્લિનરી યુનિવર્સિટી બની છે.NFSU જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થામાં વિદ્યાર્થીઓને મળીને તેમજ તેઓને ડી.એસસી., પીએચ.ડી. સહિતની ડિગ્રી પ્રદાન કરીને ગૌરવની લાગણી અનુભવું છું. આ યુનિવર્સિટીમાં 55 ટકા વિદ્યાર્થિનીઓ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરી રહી છે, તે આનંદદાયક છે. આર્થિક પ્રગતિએ નવા પડકારો ઊભા કર્યા છે. વિશ્વમાં નવી વિશ્વ-વ્યવસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે અને તેમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા NFSU સાયબર સિક્યોરિટી સહિતના ક્ષેત્રોમાં કાર્યરત્ છે અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે નવી તકો પણ ઊભી કરી રહી છે.
NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે ઉપયોગી કુશળ ફોરેન્સિક નિષ્ણાતોનું સર્જન કરવા માટેનું સ્વપ્ન છે અને ગુનાખોરી સંબંધિત પડકારોનો સામનો કરવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. 14 વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટીએ રાજ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, જેમાં માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું પણ નિરંતર માર્ગદર્શન, પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. દર વર્ષે 2000 થી વધુ વિદેશી પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક વૈજ્ઞાનિકો, ન્યાયાધીશો, વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ આ યુનિવર્સિટીમાં તાલીમ મેળવે છે.
ડો. વ્યાસે જણાવ્યું હતું કે હાલમાં, યુનિવર્સિટી 72 અત્યંત વિશિષ્ટ ડોક્ટરલ, પોસ્ટ-ડોક્ટરલ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, ઇન્ટિગ્રેટેડ UG-PG પ્રોગ્રામ્સ, પોસ્ટ-ડોક્ટરલ (D.Sc. / D.Litt. / LLD), B. Sc. જેવા ફોરેન્સિક સાયન્સ સાથે સંબંધિત અભ્યાસક્રમો ચલાવે છે. જ્યારે 35થી વધુ દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહ્યાં છે. ભારતમાં NFSU નવ કેમ્પસ ધરાવે છે. વિદેશ, યુગાન્ડા ખાતે પોતાનું કેમ્પસ શરૂ કરનારી ભારતની સૌપ્રથમ સરકારી યુનિવર્સિટી બનવાનું ગૌરવ પણ NFSU ધરાવે છે.
આ પદવીદાન સમારોહમાં દરમિયાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો; બોર્ડ ઓફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો; પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-ગાંધીનગર, શ્રી સી. ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.
