ગુજરાતના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતીને પ્રાધાન્ય અપાયું:આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

ગુજરાત વિધાનસભા અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘ન્યુનત્તમ સરકાર અને મહત્તમ સુશાસન’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ વર્ષના અંદાજપત્રમાં જ નમો લક્ષ્મી, નમોશ્રી અને નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી રામ રાજ્યની પરિકલ્પનાને સાર્થક કરવા માટેનો દ્રઢ નિશ્ચય કર્યો છે. જે દેશને નવી રાહ ચીંધશે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. ગુજરાત સરકારે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વિકસિત ગુજરાત ૨૦૪૭નું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી તે દિશામાં કામ શરૂ કરી દીધું છે. ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ વંચિતોની સેવા, મહિલાઓના સશક્તિકરણ, યુવાનોને તક અને ખેડૂતની આવક બમણી કરવાનો રાજ્ય સરકારનો સંનિષ્ઠ પ્રયાસ છે.

આદિજાતિ વિસ્તારોના સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે આ વર્ષના બજેટમાં રૂ. ૪૩૭૪ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરી છે. આદિજાતિ વિસ્તારના પ્રતિભાવાન વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પૂલ યોજના, વિદ્યા સાધના યોજના, દૂધ સંજીવની યોજના, આદર્શ નિવાસી શાળાઓનો વિકાસ, ગણવેશ સહાય તેમજ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી જેવી અનેક વિશેષ પહેલ રાજ્ય સરકારે કરી છે.

આટલું જ નહીં, ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઇમાં પણ રાજ્ય સરકારે ૧૦૦ ટકા વધારો કર્યો છે.

મંત્રી શ્રી હળપતિએ ઉમેર્યું કે, રાજ્યના બજેટમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ અને સુપોષિત હોય તે માટે બે મહત્વના વિષયો જેવા કે રસાયણમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તથા મીલેટના વાવેતર અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રયત્નોના પરિણામે ગત ત્રણ વર્ષમાં રાજ્યના આશરે ૯ લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે અને ૭.૫૬ લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો ખ્યાલ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ પણ આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, બાગાયતી ખેતી તેની આગવી વિષેશતાઓને કારણે દેશના ટકાઉ વિકાસ માટેના લક્ષ્યાંકોમાં અને ૫ ટ્રિલિયન અર્થતંત્રના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે.
રાજ્યમાં બાગાયતી પાકોના નવા વાવેતર, રક્ષીત ખેતી, સંકલિત જીવાત વ્યવસ્થાપન, મધમાખી ઉછેર, બાગાયતી યાંત્રિકીકરણ, પાક સંરક્ષણ સાધનો, કાપણી પછીનું સંકલિત વ્યવસ્થાપન જેવા તમામ ઘટકોને સાંકળી લઈ બાગાયત ક્ષેત્ર માટે કુલ રૂ.૬૩૪.૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં પશુઓના દૂધ ઉત્પાદન પર અસર કરતા વિવિધ રોગોની સંપૂર્ણપણે નાબૂદી અને દેશના તમામ પશુધન માલિકો માટે સારી આજીવિકાની તકો સુનિશ્વિત કરવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત કાર્ય કરી રહી છે. આ ઉપરાંત રાજ્યના પશુપાલકો ઉત્તમ પશુઓ રાખવા પ્રેરિત થાય તથા પશુપાલન વ્યવસાયમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તે માટે પશુપાલન શિબિરો, પશુ પ્રદર્શન હરીફાઈ, રાજ્યવ્યાપી દૂધ ઉત્પાદન હરીફાઇ, અશ્વ શો, શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કારથી નવાજવા જેવા અનેકવિધ કાર્યક્રમો માટે પણ અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવી છે.

ગૌવંશના નિભાવ અને જીવદયા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે બિન-સરકારી અને સેવાભાવી સંસ્થાઓના યોગદાનની નોંધ લઈ ગૌસેવા, ગૌપાલન અને ગૌરક્ષા માટે ચિંતા સેવી “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” માટે રૂ. ૪૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની જીવનની ગુણવત્તા સુધારવા માટે ગ્રામ્ય કક્ષાએ સફાઇ, પાણી, આવાસ જેવી મૂળભુત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોના યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટે આ બજેટમાં પૂરતી વ્યવસ્થા કરી રૂ. ૩૦૯૨.૫૮ કરોડ જેટલી બજેટ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ત્રીસશક્તિકરણ અંતર્ગત મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટેનું આયોજન પણ બજેટમાં હાથ ધરવામાં આવ્યું છે.

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વન્ય વિસ્તારમાં વસતા આદિમ જૂથના અતિ ગરીબ આદીવાસી લોકોને સામાન્ય પ્રવાહમાં ભેળવવા અને જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાન મંત્રી જનજાતી આદીવાસી ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા બજેટમાં રૂ. ૧૬૪ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યના મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની ૫૦,૦૦૦ મહિલાઓને તાલીમ અને નાણાંકીય મદદ આપી ક્ષમતા વર્ધન કરીને “સશક્ત અને આત્મનિર્ભર” બનાવી લખપતિ બનવા તેઓ સમર્થ બને તે માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરી છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સર્વાંગી સંપૂર્ણ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે.

સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃતિઓના વિકાસ અને ગ્રીન ગ્રોથ જેવા વિકાસ માટે અતિ મહત્વપુર્ણ પાંચ સ્તંભોના આધાર પર વિકાસની બુલંદ ઇમારતનું નિર્માણ કરતું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ અંદાજપત્ર વિકસીત ભારતના ધ્યેયને સિધ્ધ કરવા માટે ગુજરાતની કટીબધ્ધતાને રજુ કરતું અંદાજપત્ર છે. જે ગુજરાતની વિકાસની ગતિશીલતાને વધુ વેગ આપશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM