80 કરોડ ભારતીયોની સેવા કરવા સાથે સીધો સંબંધ ધરાવતા આ મંત્રાલયમાં સેવા કરવાની શ્રેષ્ઠ તકઃ શ્રી જોશી

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે અધિકૃત રીતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો. પૂર્વ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રીશ્રી પિયુષ ગોયલે રાજ્યમંત્રીશ્રી બી.એલ.વર્મા અને શ્રીમતી નિમુબેન જયંતીભાઇ બાંભણીયાની ઉપસ્થિતિમાં શ્રી જોશીને ચાર્જ સોંપ્યો હતો.
આ પ્રસંગે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ શ્રી સંજીવ ચોપરા તથા ગ્રાહક બાબતોનાં વિભાગનાં સચિવ શ્રીમતી નિધિ ખરે તેમજ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યભાર સંભાળવાના પ્રસંગે શ્રી પ્રહલાદ જોશીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો તેમને તક આપવા બદલ આભાર માન્યો હતો. શ્રી જોશીએ કહ્યું હતું કે, “હું આભારી છું કે માનનીય પ્રધાનમંત્રીએ મને આ મંત્રાલયમાં સેવા કરવાની તક આપી છે, જેનો સીધો સંબંધ 80 કરોડ ભારતીયોની સેવા સાથે છે.” શ્રી જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મુખ્ય યોજના છે, જે જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે નિઃશુલ્ક અનાજ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, તેમની પ્રાથમિકતા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ગોયલ દ્વારા સરકારનાં પ્રથમ 100 દિવસમાં ઓળખાયેલી પ્રવૃત્તિઓનો અમલ કરવાની રહેશે.
