સ્થાનિક હાટ/બજારમા ડાંગ બહારના વેપારીઓ ભાગ નહિ લઈ શકે
રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ
આહવા; ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ક્યારેય પ્રજાકીય જાનમાલના ભોગે જાહેર સમારંભો, મેળાવડાઓને પરવાનગી આપી ન શકે તેમ સ્પષ્ટપણે જણાવતા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે આગામી “ડાંગ દરબાર”ના મેળા સંદર્ભે જિલ્લાના માજી રાજવીઓ સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરતા જણાવ્યુ હતુ.પાડોશી મહારાષ્ટ્રમા “કોરોના”ની વકરેલી સ્થિતિને અનુલક્ષીને “ડાંગ દરબાર”નો મેળો યોજવો તે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે તેમ જણાવતા શ્રી ડામોરે ડાંગ જિલ્લાની કુલ વસ્તી માંડ અઢી લાખની છે, જેની સામે “ડાંગ દરબાર”ના મેળામા ડાંગ બહારથી અંદાજીત પાંચેક લાખ જેટલી જનમેદની ઉમટતી હોય ત્યારે, આવા કાર્યક્રમોને કારણે જાહેર આરોગ્ય સામે ચોક્કસ જ જોખમ ઊભુ થઇ શકે તેમ હોય આવા જાહેર કાર્યક્રમો યોજવા હિતાવહ નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લાના મોટાભાગના શ્રમજીવી પરિવારો છે, ત્યારે “કોરોના” સામે બાથ ભીડવા માટે ડાંગ જિલ્લામા સીમિત સાધન સુવિધાઓ ધ્યાને લેવા સાથે, ડાંગના રાજવીઓએ પણ વ્યાપક પ્રજાહિત ધ્યાને લેતા પ્રશાસનના પ્રયાસોમા સહયોગ આપવાની અપીલ કરી હતી. ડાંગના રાજવીઓ વતી વાસુરણાના રાજવી શ્રી ધનરાજસિંહજીએ પ્રજાવત્સલ રાજવીઓની લાગણીને ધ્યાનમા રાખીને જાહેર સુખ સુખાકારી માટે અહીના પરંપરાગત મેળાને પ્રતિબંધિત રાખી, માત્ર સાલીયાણા અર્પવાના કાર્યક્રમને “કોવિદ-૧૯” ની માર્ગદર્શક સૂચનાઓના પાલન સાથે યોજવા સહમતી દર્શાવી હતી. શ્રી ધનરાજસિંહજીએ ડાંગના પ્રજાજનોના આરોગ્યની જાળવણી એ પ્રશાસન, રાજકીય પદાધિકારીઓ, અને રાજવી પરિવારો નૈતિક જવાબદારી છે તેમ પણ જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લાની ઐતિહાસિક પરંપરાને જાળવવા માટે સાલીયાણા અર્પણ કરવાનો સાદગીપૂર્ણ કાર્યક્રમ સંભવત; આગામી તા.૨૪ મી માર્ચના રોજ, ડાંગ દરબાર હોલ ખાતે યોજવા અંગેની ચર્ચા કરતા કલેક્ટરશ્રીએ, હોળીના તહેવાર સંદર્ભે ભરાતા સ્થાનિક હાટ/બજારોમા ડાંગ બહારના વેપારીઓને કોઈ પણ ભોગે પ્રવેશ નહિ અપાઈ તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ. આહવા સહીત ડાંગ જિલ્લાના મોટા ગામોમા ભરાતા હાટ/બજારોમા પણ “કોવિદ-૧૯” ની માર્ગદર્શક સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવા સાથે, બિનજરૂરી લોકટોળા એકત્ર ન થાય તેની તકેદારી રાખવાની સુચના આપતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ જિલ્લામા અમલી વિવિધ જાહેરનામાઓ સહીત એપેડેમીક એકટ, ડીઝાસ્ટર એકટ વિગેરેનો ચુસ્તપણે અમલ કરવાના કાર્યમા સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ડાંગની પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વને લક્ષમા લઈને સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેવા સાથે કાર્યઆયોજન કરવાની હિમાયત કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા તથા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ. દરમિયાન નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસ, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રાહુલ પટેલ, સહીત વાસુરણા, પિંપરી, લિંગા, દહેર, અને ગાઢવીના રાજ્વીશ્રીઓ, આહવાના સરપંચ શ્રી હરિરામ સવંત વિગેરે ચર્ચામા જોડાયા હતા.





