સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું હતું.આ કાર્યક્રમમા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વખાણ કરતાં કહ્યું કે ‘હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે. ખૂબ ઓછું અને મધુર બોલે છે. જે કામ કરે છે એ પાક્કું કામ કરે છે. તેઓ ગુજરાતને વધુ આગળ લઈ જશે એનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે, જે આગળ પણ કરતા રહેશે.
વડાપ્રધાને પોતાના પ્રવચનમાં 1919માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ સહિતના શિક્ષણક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું.વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવવાની સાથે સાથે રામાયણનો પ્રસંગ ટાંકતાં કહ્યું હતું કે અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે, જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હોસ્ટેલ એમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનું પુણ્ય મને મળ્યું એનો પણ આભાર માનું છું.હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા આ હોસ્ટેલમાં વાંચનાલયનું નિર્માણ કરાશે, જે 24X7 ખુલ્લું રહશે, જેમાં દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
પુસ્તકાલયમાં જનરલ નોલેજ સહિતનાં પુસ્તકોનો સંગ્રહ હશે. કોઈપણ વ્યક્તિ બહારથી પણ વાચન કરી શકે એ માટે ઈ-લાઈબ્રેરી તૈયાર કરાશે.
તમામ યોજનાઓની જાણકારી આપવા તથા કાર્યવાહી માટે મદદરૂપ થવા તમામ શહેરીજનો માટે માર્ગદર્શન સેન્ટર બનાવાશે.
શહેરમાં પટેલ સમાજની વિવિધ 500 જેટલી મોટી સંસ્થાઓ, 300થી વધારે સેવા સંગઠનો, 1000થી વધુ પરિવાર સંગઠનો અને 2000થી વધુ ગામ સંગઠનો કાર્ય કરે છે. એનું સંકલન કરવા સેવા સેતુ સેન્ટર બનાવાશે.
સમાજના 1000 સીએ, 1200 કન્સલ્ટન્ટ ડોક્ટર્સ, 4 હજાર તબીબો સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત વકીલો, ટેક્સ પ્રેક્ટિશનર્સ, આર્કિટેક્ટ્સ વગેરેને સમાજ સાથે સાંકળી રાષ્ટ્રહિતમાં પ્રવૃત્તિઓ કરવા બિઝનેસ વ્યવસાય કનેક્ટ કેન્દ્ર બનાવાશે.અત્યારસુધીમાં કુલ 100 લોકોએ ભૂમીદાન કર્યું છે, જેમાં 1 વાર માટે 11000 રૂપિયા સ્વીકારાય છે. હજી ભૂમિદાન સ્વીકારવાનું ચાલુ છે. જે લોકોને ભૂમિદાન કરવું હોય તેઓ કરી શકે છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો-પદાધિકારીઓ તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યાં.
શૈશવ રાવ



