વલસાડ જિલ્લાના ધરમપુરની તાલુકા હેલ્થ ઓફીસરની કચેરી ખાતે ધરમપુરના સેવાભાવી દંપતી ઋષિતભાઈ મસરાણી અને પૂર્વજાબેન મસરાણીના સહયોગથી કોરોના રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જીજ્ઞેશભાઈ માહલા અને ડૉ.અંકિતાબેન પટેલના હસ્તે કોરોના અંગેના ચિત્રો અને સુત્રો દર્શાવતી કાપડની થેલી અને સ્ટીકરનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ દંપતિ પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા થકી અનેક લોકોપયોગી સેવાકીય કાર્યો કરી રહયા છે.
આ અંગે જણાવતાં ઋષિત મસરાણીએ જણાવે છે કે, કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતીમા લોકોમાં કોરોના રોગ વિશે જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે. આ કામગીરી માટે ખર્ચની વાત આવતાં તે અંગે મારા પરિવાર સાથે પરામર્શ કરી અમારા મોજશોખ માટે રાખેલા નાણાં લોકોપયોગી બને તે માટે ખર્ચ કરવાનું નક્કી કર્યું. થેલી અને સ્ટીકર ઉપર છાપકામની ડીઝાઇન અને પ્રિન્ટિંગ માટે પોતાના મિત્ર સુજલને વાત કરતાં તેમણે પણ આ સેવા માટે પોતાનું યોગદાન આપ્યું ધરમપુરના હેલ્થ વર્કર્સ આરોગ્યની કામગીરી માટે ગ્રામ્ય વિસ્તારોમાં જશે ત્યારે કોરોના જાગૃતિ માટેના ચિત્રો અને સૂત્રો જોઇને ગ્રાજમનોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે તેમણે આરોગ્યકર્મીઓને થેલી અને સ્ટીકર આપવાનું આયોજન કરાયું હોવાનું વધુમાં જણાવ્યું હતું. આ વિતરણ કામગીરીમાં સહયોગ બદલ ધરમપુર તાલુકા હેલ્થ કચેરી અને તેઓની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.


