







દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ યુનિવર્સિટી નવી કૃષિ ક્રાંતિનું પ્રેરણા કેન્દ્ર બનશે- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે દેશની પ્રથમ એવી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના નિર્માણ થનારા ભવનનો શિલાન્યાસ કરતા જણાવ્યું હતું કે ગુજરાતની પાવન ધરા પર સ્થપાયેલી દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ યુનિવર્સિટી નવી કૃષિ ક્રાંતિનું પ્રેરણા કેન્દ્ર બનશે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને ખેતરે ખેતરે પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવા આ યુનિવર્સિટી માઈલસ્ટોન સાબિત થશે તેમ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે દેશની પ્રથમ એવી આ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ યુનિવર્સિટીની માત્ર દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી જેવી વિવિધ સેક્ટોરીયલ યુનિવર્સિટીની સ્થાપના કરી વિકાસને નવી દિશા આપી છે. આ જ રીતે પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં ઓર્ગેનિક કૃષિ ક્રાંતિ માટે ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આજ યુનિવર્સિટીની સાથે હવે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને જોડીને ગુજરાતમાં દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. જેનાથી ગુજરાતમાં જ નહીં દેશભરમાં પ્રાકૃતિક કૃષિને નવી ઊર્જા અને નવો વેગ મળશે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે આ યુનિવર્સિટીના નવનિર્માણથી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે, શિક્ષણ સંશોધન અને વિસ્તરણની પરિણામલક્ષી કામગીરી થશે તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આનાથી દેશભરના ખેડૂતોને માર્ગદર્શન મળી રહેશે. તેમણે કહ્યું કે આઝાદી બાદ પંતનગર કૃષિ યુનિવર્સિટી ખાતેથી હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી એ જ રીતે આજના શુભ પ્રસંગથી ગુજરાતની પાવન ધરા પરથી પ્રાકૃતિક કૃષિની નવી ક્રાંતિના શ્રી ગણેશ થઈ રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ આ શિલાન્યાસ સમારોહમાં ચારેય વેદના સ્વસ્તી મંત્રોનું પઠન કરી કલ્યાણ ભાવના વ્યક્ત કરી હતી અને તમામને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રાકૃતિક અને સેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય અંદાજે રૂપિયા ૧૪૫ કરોડના ખર્ચે નિર્માણ પામશે. જેમાં યુનિવર્સિટી ભવન, સ્ટાફ કવાટર, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ, પી જી ઇન્સ્ટિટ્યૂટ તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેવા છ વિવિધ આધુનિક બિલ્ડિંગો આકાર લેશે. તેનો દેશ વિદેશના ખેડૂતો પ્રશિક્ષણ અર્થે લાભ લેશે.
અજના આ પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી નિમિષાબેન સુથાર, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, હાલોલ ધારાસભ્ય શ્રી જયદ્ર્થસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ, ગુજરાત પ્રાકૃતિક વ સેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના ઉપ કુલપતિ શ્રી સી.કે. ટીંબડીયા, એસપીએનએફ રાજ્ય સંયોજક શ્રી પ્રફુલ્લભાઈ સેંજલિયા સહિત અધિકારીઓ, આગેવાનો તથા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
