
અમદાવાદમાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે ઉદ્યોગ મંત્રી શ્રીએ પીડિલાઈટ અને નોકિયા નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું.


આ અવસરે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, અમદાવાદમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર ખાતે અંદાજિત રૂપિયા ૨૮.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત આઇ.ટી.આઇ. કુબેરનગરના અદ્યતન બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત બહુમાળી મકાનમાં વિદ્યાર્થીઓ માટે ૪૫ વર્કશોપ, ૩૫ થીયરી રૂમ, ૧૪ આઈ.ટી.આઈ અન્ય રૂમો જેમ કે પ્લેસમેન્ટ કાઉન્સિલિંગ રૂમ, આઈ.ટી.લેબ, કોન્ફરન્સ હોલ, કેન્ટીન, સ્ટાફ રૂમ, વહીવટી રૂમની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે.

ઉદ્યોગ મંત્રી શ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ૫ મેગા આઈ.ટી.આઇ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આઈ.ટી.આઈ કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ સંપન્ન થયું છે. આવનારા સમયમાં અન્ય ચાર મેગા આઈ.ટી.આઈ. રાજ્યમાં તૈયાર કરવામાં આવશે.


શ્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં આઈ.ટી.આઈ કુબેરનગર મોટી ભૂમિકા ભજવશે. આ આઈ.ટી. આઈ. દ્વારા ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશ અને રાજયના વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રકારનું તકનીકી શિક્ષણ આપીને દેશમાં જ રોજગારી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વમાં આજે ટેકનોલોજીને લઈને જે સ્થિતિ બદલાઈ છે તેને અનુરૂપ તમામ પ્રકારનું શિક્ષણ રાજ્યના વિદ્યાર્થીઓને આપવામાં આવશે, એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આવનારા સમયમાં રાજ્યમાં ઝોન મુજબ પાંચ મેગા આઈ.ટી.આઈનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં સ્થાનિક કક્ષાએ વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈમાં તૈયાર કરવામાં આવશે અને રોજગારી પણ આપવામાં આવશે. અત્યારે રાજ્યની આઈ.ટી.આઈમાં કુલ ૪૧ જેટલા વિવિધ કોર્સ ચાલી રહ્યા છે.

રાજ્યમાં રોજગારીની વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું સમગ્ર દેશમાં ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર છે અને બેકારીનો દર પણ દેશના અન્ય રાજ્યો કરતાં સૌથી ઓછો છે.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ડિજિટલ ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા અંતર્ગત આઈ.ટી.આઈ કુબેરનગર આવનારા સમયમાં વિશ્વની શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.માં સ્થાન પામશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, એક આઈ.ટી.આઈ, શ્રેષ્ઠ આઈ.ટી.આઈ આવનારા સમયમાં આઈ.ટી.આઈ કુબેરનગર બનશે.






શ્રી કુંવરજીભાઈ હળપતિએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પાંચ મેગા આઇ.ટી.આઇ ગુજરાતમાં સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ આઈ.ટી.આઈ સ્થાપવાથી નાના ઉદ્યોગોમાં રોજગારીનું સર્જન પણ થશે. ઉદ્યોગો ખાતે વધતી જતી એડવાન્સ ટેકનોલોજીને ધ્યાને રાખી ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે ટેલિકોમ સેક્ટર કંપની નોકિયા દ્વારા રાજ્ય સરકાર સાથે ૫ મેગા આઈ.ટી.આઈમાં સહભાગી થવા માટેના MOU કરવામાં આવ્યા હતા. આ અવસરે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. અંજુ શર્મા, કૌશલ્ય વિકાસના નિયામક શ્રી અનુપમ આનંદ, રોજગાર અને તાલીમ વિભાગના નિયામક શ્રી ગાર્ગી જૈન, નરોડાના ધારાસભ્ય શ્રી પાયલ કુકરાણી, ટેલિકોમ સેક્ટર સ્કીલ કાઉન્સિલરના પ્રતિનિધિશ્રી, પીડિલાઈટના પ્રતિનિધિ શ્રી, નોકિયાના પ્રતિનિધિશ્રી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
