
શૈશવ રાવ રાજપીપળા
તા.૧૫ ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ શાળાઓમાં યોજાવાની છે. જિલ્લામાં ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.

જિલ્લામાં આ પરીક્ષા, સરકારી હાઈસ્કૂલ, રાજપીપલા, આદર્શ નિવાસી શાળા રાજપીપલા, શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપલા, શ્રીમતી સુરજબા આર મહીડા કન્યા વિનય મંદિર, રાજપીપલા, શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલા અને શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપલાના પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા પરીક્ષા કેન્દ્રોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલ છે.

પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ ઈસમે કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/કરાવવું નહીં તેમજ લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં.
આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.