
શ્રમિકો સાથે જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરતા મહાનુભાવો

રાજકોટમાં બાંધકામ શ્રમિકો માટે નવા અન્નપૂર્ણા ભોજન કેન્દ્રોના ઉદઘાટન પ્રસંગે હેમુ ગઢવી હોલ ખાતે ઉપસ્થિત શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે સામાજિક ન્યાય અધિકારી મંત્રી સુશ્રી ભાનુબહેન બાબરિયા, સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય સુશ્રી દર્શિતાબહેન શાહે શ્રમિકોને ભોજન પીરસીને નવા પાંચ ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે મંત્રી સુશ્રી બાબરિયા તથા ધારાસભ્ય દર્શિતાબહેન શાહે શ્રમિકો સાથે જમીન પર બેસીને ભોજન લીધું હતું અને ભોજનની ગુણવત્તા અને સ્વાદની ચકાસણી કરી હતી. ઉપરાંત સૌ મહાનુભવોએ ભોજન અને સ્વાદ અંગે જો કોઈ સૂચન કે ફરિયાદ હોય તો પણ જણાવવા શ્રમિકોને અપીલ કરી હતી. શ્રમિકો માટે નવા ભોજન કેન્દ્રોની શરૂઆત કરાવવા બદલ, આભાર વ્યક્ત કરતા એક શ્રમિક પરિવારના માતાએ મંત્રી સુશ્રી ભાનુબહેન તથા ધારાસભ્ય સુશ્રી દર્શિતાબહેનનું મોં પણ મીઠું કરાવ્યું હતું. આ તકે મંત્રી સુશ્રી બાબરિયાએ રોજ આ જ પ્રકારની ગુણવત્તા અને સ્વાદવાળું ભોજન શ્રમિકોને તમામ ભોજન કેન્દ્રો પરથી મળતું રહે તે જોવા શ્રમવિભાગના અધિકારીને ખાસ જણાવ્યું હતું.