વડાપ્રધાનશ્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાના હસ્તે સ્પીપા ખાતે સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલીના જીવન આધારિત પુસ્તકનું વિમોચન

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને વરિષ્ઠ સનદી અધિકારી સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલીના જીવન, કાર્યકાળ અને પ્રદાન પર આધારિત પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભારતના પ્રધાનમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાના હસ્તે પુસ્તકનું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, વહીવટી સેવામાં પારદર્શિતા, કર્તવ્યનિષ્ઠા અને લોકહિતના નિર્ણયોનું વિશિષ્ટ મહત્વ છે. સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલી જેવા કુશળ અને અનુભવી સનદી અધિકારીઓના વહીવટી અનુભવો, સેવાભાવ અને મૂલ્યો આવનારી નવી પેઢીના યુવા સનદી અધિકારીઓ માટે માર્ગદર્શક અને હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.

પ્રારંભમાં સ્પીપાના ડાયરેક્ટર જનરલ અને અગ્ર સચિવ શ્રી હારીત શુક્લા (IAS) તેમજ પુસ્તકના લેખક શ્રી આર. સી. વેંકટરામને સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું.

આ અવસરે નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી શ્રી સી. કે. કોશીએ સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, શ્રી ચંદ્રમૌલી અત્યંત સામાન્ય પરિવારમાંથી આવીને આઈ.એ.એસ. તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા હતા, જે તેમના માનવીય અભિગમ અને પ્રશાસનિક નિર્ણયશક્તિને આભારી હતું. નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી શ્રી પી. રામરખિયાણીએ પણ સ્વ. શ્રી ચંદ્રમૌલી સાથેના સેવાકાળના પ્રેરક પ્રસંગો શેર કર્યા હતા.

પુસ્તકના લેખક અને સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલીના સુપુત્ર શ્રી આર. સી. વેંકટરામને પુસ્તક લેખન પાછળની પ્રેરણા અને પૃષ્ઠભૂમિ અંગે પ્રકાશ પાડ્યો હતો તેમજ પુસ્તકના મહત્વપૂર્ણ અંશોનું પઠન કર્યું હતું.

આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા (IAS), ગુજરાતના વિજિલન્સ કમિશનર શ્રીમતી સંગીતા સિંહ (IAS), સ્પીપાના નાયબ મહાનિદેશક શ્રી ચંદ્રેશ કોટક, નોલેજ મેનેજર શ્રીમતી ઋતા ભટ્ટ, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર-મહેસાણાના નાયબ નિયામક શ્રીમતી જ્યોતિબા ગોહિલ, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર-વડોદરાના નાયબ નિયામક શ્રી એન. યુ. પઠાણ, નાયબ નિયામક (હિસાબ) શ્રી હાર્દિક પ્રજાપતિ, નાયબ નિયામક (કમ્પ્યુટર) શ્રીમતી રૂબી રાજપૂત, તથા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રીમતી ધરતી શાહ સહિતના મહાનુભાવો, સ્પીપાના અધિકારીઓ, પ્રશિક્ષણાર્થીઓ અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સ્વ. શ્રી ચંદ્રમૌલીના પૌત્ર શ્રી કાર્તિક વેંકટરામને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *