દેશના રાષ્ટ્રીય નિયામક ડ્રગ્સ કન્ટ્રૉલર જનરલ ઑફ ઈન્ડિયા (ડીસીજીઆઇ)એ કાળજીપૂર્વકની ચકાસણી બાદ વિષય નિષ્ણાત સમિતિ (એસઈસી)ની ભલામણ સ્વીકારીને 2 થી 18 વર્ષના વયજૂથમાં કોવેક્સિન (કોવિડ રસી)ના બીજા/ત્રીજા તબક્કાના નિદાનને લગતા પરીક્ષણને હાથ ધરવા માટે એના ઉત્પાદક ભારત બાયોટેકને 12.05.2021ના રોજ પરવાનગી આપી છે.
મેસર્સ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, હૈદ્રાબાદ (બીબીઆઇએલ)એ 2 થી 18 વર્ષના વયજૂથમાં કોવેક્સિનના બીજા/ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણ હાથ ધરવા માટે દરખાસ્ત કરી હતી. આ પરીક્ષણ 525 તંદુરસ્ત સ્વયંસેવકોમાં હાથ ધરાશે.
પરીક્ષણમાં 0 દિવસ અને 28 દિવસે બે ડૉઝમાં ઇન્ટ્રામસ્ક્લ્યુઅલર રૂટ (સ્નાયુમાં) રસી આપવામાં આવશે.
ઝડપી નિયમન પ્રતિસાદ તરીકે આ દરખાસ્ત પર 11મી મે, 2021ના રોજ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ (એસઈસી) (કોવિડ-19)એ વિચારણા કરી હતી. વિગતે વિચારણા બાદ આ સમિતિએ અમુક શરતોને આધીન સૂચિત બીજા/ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણ માટે પરવાનગી આપવાની ભલામણ કરી હતી.

