આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

રાજ્યના નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં ૧૩૦ ટકાનો માતબર વધારો

આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સોની ભરતી કરાશે

નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦ નો‌ એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦ નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ ૧ લી જુલાઇ ૨૦૨૧ થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે જેનો લાભ ૧૫૦૦૦ થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે.

હવે રૂપિયા ૩૦૦૦ નું નર્સિંગ એલાઉન્સ ૧ લી જુલાઇ થી અપાશે

આજે ગાંધીનગર ખાતે યુનાઇટેડ નર્સિંગ ફોરમની માંગણીઓ સંદર્ભે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે, નાણા વિભાગના સચિવશ્રી મીલીંદ તોરવણે અને ફોરમના પ્રમુખશ્રી દિપકમલભાઇ વ્યાસ, સલાહકાર શ્રી ઇકબાલભાઇ કડીવાલા, તેજલ દેસાઇ, મૌલિ સરવૈયા, જ્યોત્સનાબેન ચૌધરી, જયેશ અંધારીયા, ટ્વીંકલ ગોહીલ, વિક્રમ પટેલ તથા આરતી પરમાર સહિતના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ બેઠકમાં ફોરમનાં પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઇ હતી ફોરમના પ્રતિનિધિઓએ એલાઉન્સ વધારા સહિતના અન્ય પ્રશ્નોના નિકાલ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. 

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને ત્વરિત આરોગ્ય સવલતો મળી રહે અને આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સોની ભરતી કરવાની મંજૂરી આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવાઇ છે જેની પરીક્ષા આગામી ૨૦ મી જુન, ૨૦૨૧ ના રોજ જી.ટી.યુ. દ્વારા લેવાનાર છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી સત્વરે આદેશો કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા બઢતી-બદલી સહિતના અન્ય પ્રશ્નો અંગે પણ રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ થકી સત્વરે નિર્ણય લેશે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *