કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પ્રજાજનોને સુરક્ષિત કરી શકાય તે માટે, રાજ્ય સરકારે તા.૧૦મી જાન્યુ-૨૦૨૨થી “પ્રિકોશન ડોઝ” આપવાનીશરૂઆત કરી છે. જે મુજબ ડાંગ જિલ્લામા પણ આ કામગીરી શરૂ કરી દેવામા આવી છે. ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામા આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ, અને દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર, અને ૬૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓને કોરોનાના પ્રિકોશન ડોઝ આપવામા આવી રહ્યા છે. RCHOશ્રી ડો.સંજય શાહના જણાવ્યા અનુસાર પ્રિકોશન ડોઝ માટે જિલ્લામા ૪૬૮૬ નો લક્ષ નિર્ધાર કરાયો છે.જેમા ૧૭૭૧ જેટલા હેલ્થકેર વર્કર, ૨૬૨૩ ફ્રન્ટલાઈન વર્કર, અને ૬૦ વર્ષથી ઉપરની વયજુથના ૨૯૨ બુઝૂર્ગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે “પ્રિકોશન ડોઝ” લેતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ જિલ્લામા કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે પાત્રતા ધરાવતા સૌ વ્યક્તિઓને રસીના બન્ને ડોઝ લેવા સાથે, ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોને અપાતા રસીકરણનો લાભ લેવા, અનેહવે પ્રિકોશન ડોઝના લાભાર્થીઓને સત્વરે રસી લઈ લેવાનો અનુરોધ કર્યો છે. ગીરીમથક સાપુતારા ખાતે પણ ૮૬ વર્ષના લાભાર્થી બુઝુર્ગ શ્રી રમણલાલ હાંસજીભાઈ પટેલ અને ૬૯ વર્ષના તેમના ધર્મ પત્ની શ્રીમતી મીનાક્ષીબેન રમણલાલ પટેલે “પ્રિકોશન ડોઝ” લઈને અન્ય વડીલોને પ્રેરણા પૂરી પડી છે.


