
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.ત્યારે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે બીજાના આંસુ પર મેળવેલું સુખ,આજે નહીં તો કાલે આપણી આંખમાંથી આંસુ પડાવ્યા વગર રહેશે નહીં.પરમપિતા પરમાત્માની ગેરહાજરીમાં આપણને જો કોઇ ઉગારનાર હોય તો તે ગુરૂભગવંત જ છે.તેથી તેમના દ્વારા જેટલું આત્મકલ્યાણ થઈ શકે તે કરવાની ભાવના જેમ શ્રાવકની હોય, તેમ તેમની કોઈ આશાતના ન થઈ જાય તેની કાળજી લેવાની સતત તત્પરતા પણ શ્રાવકની હોયજ.જે તરવાના સાધનો છે,તે જ ડૂબવાના સાધનો છે અને જે ડૂબવાના સાધનો છે તે જ તરવાના સાધનો છે.પૃથ્વી લોક પર બધા જીવોમાં પ્રભુ પરમાત્મા એ માનવને બુધ્ધિશાળી અને વર્ચસ્વવાળો જીવ બનાવી ને એક રખેવાળ તરીકે મૂકયો છે. કારણ કે તેના સર્જન કરેલી આ વિશ્વરૂપી સંપત્તિ નું જતન કરી વિકાસ કરે.શ્રાવક ભાઇ બહેનો આ વાત તમે સૌ જાણો જ છો. જંગલો,નદી,નાળાં,તળાવો,ગૌચર ખરાબાના તમે રક્ષક હતાં.કુદરતે એ રીતે તમારી સાથે આ નિર્માણ કર્યું કે જેના થકી તમારા સૌના વિકાસની સાથે અન્ય જીવોનું પાલન પોષણ થાય પરંતુ આપણે આપણા નિજી સ્વાર્થ માટે સીમેન્ટ કોક્રિટના ખડકલા કર્યા જેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી રહયું છે અને અન્ય જીવો લુપ્ત થયા જે તમારા માટે સહયોગી સાથી સમાન હતા હજી વહેલું છે.જાગૃૃત બનો કુદરતી સંપત્તિ બચાવો.જગત નાટકનો એક તખ્તો છે અને જિંદગી એક નાટક છે એટલે તમે અહીં ક્યું પાત્ર ભજવો છો તે અગત્યનું નથી.પરંતુ તમારા ભાગે આવેલું પાત્ર તમે કઇ રીતીએ ભજવી શકો છો તે જ અતિ મહત્ત્વનું છે.કુદરતી સંપતિના રક્ષક છો રક્ષક બની ને રહો.
