ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ખાતે ‘મોદી@20- ડ્રીમ્સ મીટ ડિલીવરીવ’ પુસ્તક પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી પીયૂષ ગોયલનું વ્યાખ્યાન

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે “મોદી@2020 –  ડ્રીમ્સ મીટ ડિલીવરી” પુસ્તક વિશે વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન, અદભુત વિચારો અને માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર દેશ વિકાસ કરી રહ્યો છે.

આપણા દેશ પાસે જે પણ કંઈ સંસાધન છે તે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી નવા સ્ટાર્ટઅપ ઊભા થઈ રહ્યા છે અને આવા સ્ટાર્ટઅપ દેશને અને લોકોને મદદરૂપ નીવડે છે, પરંતુ આ સંસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરી દેશના આર્થિક ક્ષેત્રે કેવી રીતે વિકાસ થાય આ તમામ બાબતો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણે સૌને શીખવા જેવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ગુજરાતની ધરાનો આભારી છું કે તેમણે દેશને નરેન્દ્રભાઈ મોદી જેવા સફળ નેતૃત્વ કરનાર વડાપ્રધાન આપ્યા છે.

તેમણે મોદી@2020 પુસ્તક વિશે જણાવતા વધુમાં કહ્યું હતું કે, આ પુસ્તક એ નરેન્દ્રભાઈ મોદી સાથેના લોકોના અનુભવો અને વિચારોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પુસ્તક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અત્યાર સુધીના પરિશ્રમનો પરિચય કરાવે છે. આ પુસ્તક તેમના બાળપણના  અભ્યાસ સાથેના અનુભવો, રાજકીય ક્ષેત્રેના વિવિધ અનુભવો,  ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવેલ એ સમયના અનુભવો અને ૮ વર્ષથી દેશમાં સફળ નેતૃત્વ કરતા થયેલ અનુભવોને આવરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કોઈપણ કાર્ય કરે તે પહેલા તે વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરીને તેની અસર ભવિષ્યમાં કેવી વર્તાશે તે બાબતોને ધ્યાને લઈને વિકાસની ગતિને વેગ આપી રહ્યા છે અને તેમની આ બાબત આપણે સૌને શીખવા જેવી છે.

સ્વચ્છ ભારતની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ કરોડ શૌચાલય દેશભરમાં બનાવ્યા છે અને સવા લાખ કરોડ જેટલો ખર્ચો તેના નિર્માણ માટે કર્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી દેશના અનેક ગામડા અને શહેરોમાં લોકોને શૌચાલયને લઈને અનેક સમસ્યાઓ સાથે જીવવું પડતું હતું પરંતુ નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ આ શક્ય બન્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સહકાર, પર્યાવરણ, મહિલા અને બાળકો તથા અનેક ક્ષેત્રમાં યોજનાઓ બનાવી વિકાસની ગતિને વેગ આપવામાં આવી રહ્યો છે.

અંતે તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં આપણે સૌ ભાગીદાર થઈએ.

આ કાર્યક્રમમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. નવીન શેઠ, જીટીયુના રજીસ્ટ્રાર ડો.કે .એન.ખેર, જીટીયુના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *