





કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
“કરૂણા એક દિવસ પુરતી સીમિત ન રાખી આ ભાવનાને હદયમાં સદૈવ સ્થાન આપીએ:”- જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
વ્યારા-તાપી) તા.૧૨- તાપી જિલ્લા વન વિભાગ દ્વારા આજે વ્યારા સ્થિત વન વિભાગની કચેરી ખાતે કરૂણા અભિયાન-2023 જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, કરૂણાની ભાવના એ એક દિવસ કે સપ્તાહ પુરતી સિમીત ન રહેવી જોઇએ. આ ભાવના સદૈવ માટે દરેકના હદયમા રહેવી જરૂરી છે. આપણી પૃથ્વી ઉપર અનેક પ્રકારના પશુપક્ષીઓ અને જીવો છે દરેકના જીવનનું મહત્વ છે. તેમણે તમામ વોલન્ટીયર્સને ખાસ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આપ સૌ પોતાના મુખ્ય રોજગાર ધંધામાંથી સમય કાઢીને ઉમદા હેતું જીવદયા માટે કામ કરી રહ્યા છો ત્યારે આપ સૌને વંદન છે. તેમણે વન વિભાગ સહિત પશુપાલન વિભાગની કામગીરીની પણ સરાહના કરી હતી કે, આપ સૌ દ્વારા કરવામા આવતી સક્રિય કામગીરીના પરિણામે તાપી જિલ્લાની જનતામાં જાગૃતતા આવી છે. તેમણે અંતે સમજાવ્યું હતું કે, જ્યારે ઓછામાં ઓછા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરવુ પડે ત્યારે જ કરૂણા અભિયાન સિધ્ધ થયુ કહેવાશે.
કાર્યક્રમમાં જિલ્લા પશુપાલન અધિકારીશ્રી બ્રિજેશ શાહએ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને વર્ણવતા જણાવ્યુ હતું કે, વન વિભાગ અને સાથે પશુપાલન વિભાગના સહયોગથી કરુણા અભિયાન દરમિયાન અને ત્યાર બાદ પણ પશુપક્ષીઓને બચાવવા માટે કટીબધ્ધ છીએ. એનિમલ રેસ્ક્યુ, સ્નેક રેસ્ક્યુ બર્ડ રેસ્ક્યુ, લેપર્ડ રેસ્ક્યુ જેવા અનેક બનાવો જિલ્લામાં બન્યા છે. જેમાં પશુપાલન વિભાગના કર્મીઓ દ્વારા પશુપક્ષીનો જીવ બચે તે જ પ્રાથમિકતા હોઇ છે. જિલ્લા તંત્ર જીવદયા અંગે ખંતથી કામગીરી કરી કર્યુ છે.
તાપી જિલ્લા ડી.સી.એફશ્રી પુનિત નૈયરે કરૂણા અભિયાન સાથે જોડાયેલા તમામ વોલન્ટીયર્સ, પશુપાલન વિભાગ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત જાગૃત જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અબોલા પશુપક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવા સૌને અપીલ કરી હતી.
કાર્યક્રમમાં WCCBના સભ્યશ્રી અલ્પેશ દવેએ સૌને સુર્યોદય અને સુર્યાસ્ત સમયે પતંગ ન ચગાવવા અપીલ કરી હતી. તેમણે વન વિભાગ અને પશુપાલન વિભાગના સહયોગ અંગે સરાહના કરી હતી.
WCCBના સભ્યશ્રી અબ્રાર મુલ્તાનીએ મકરસંક્રાતીના ઉત્સવને મનાવો પરંતુ નિતીનિયમના પાલન સાથે અને સાવચેતીથી ઉત્સવને ઉજવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે પક્ષી ઘરનું વિતરણ કરવામા આવ્યું હતું. કાર્યક્રમના અંતે ક્લેક્ટરશ્રીએ સૌને કરૂણા અભિયાનના સંકલ્પ લેવડાવ્યા હતા.
કાર્યક્રમમાં એ.સી.એફ.અરૂણકુમાર, આરએફઓ ઉનાઇ રૂચી દવે, માર્ટીના ગામીત, એ.એલ.પ્રજાપતિ સહિત વનવિભાગની ટીમ, કરૂણા અભિયાનના વોલન્ટીયર્સ અને જાહેરજનતા ઉપસ્થિત રહી હતી.

