રાજ્યના પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ -: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ – ૨ અમદાવાદ ખાતે  રૂ. ૪ કરોડ ૪૦ લાખના ખર્ચે નવનિર્મિત સેનાપતિ કચેરી તથા રૂ. ૫ કરોડ ૫૦ લાખના ખર્ચે બી- કક્ષાના કુલ ૨૮૮ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યના પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આજે જે પોલીસ આવોસોનું લોકાર્પણ થયું એ મોડયુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા, ગાર્ડન, બાળકો માટે રમતગમતની સુવિધા અને અધ્યતન ટેકનોલોજીથી સજ્જ છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા પોલીસ જવાનોના જીવનમાં નવી ઉર્જા આવે તેવા આશયથી આધુનિક સુવિધાયુક્ત આવાસોનું નિર્માણ કર્યું છે. પોલીસ વિભાગની દોડધામભરી કામગીરી બાદ ઘરે આવીને અહીં શાંતિનો અહેસાસ થશે. પોલીસ ક્વાર્ટર્સમાં સ્વચ્છતા અને સુમેળભર્યા માહોલમાં રહી પોલીસકર્મીઓમાં પરસ્પર પરિવારભાવના વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું કે, એસ.આર.પી. ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાજયમાં આવેલી અનેક મુસીબતોમાંથી સુખરૂપ બહાર લાવવાનુ કાર્ય આ ફોર્સ દ્વારા કુશળતાથી કરવામાં આવ્યું છે. હંમેશા પરિવારથી દુર રહી ત્યાગ, શૌર્ય અને સેવાપરાયણતાની ભાવના સાથે કાર્ય કરનારા જવાનોના પરિવારજનોને વંદન કરતા જણાવ્યું કે, અતિવૃષ્ટિ કે કોઈ પણ તહેવારો હોય, રાજયની શાંતિ અને સલામતિ જાળવવાની કપરી ફરજ આ પોલીસ જવાનો દ્વારા નિભાવવામાં આવે છે.

રાજ્ય સરકારે સમય સાથે તાલ મિલાવી પોલીસ વિભાગનું કોર્પોરેટ ઢબે આધુનિકીકરણ કર્યું છે. એસ આર.પી.એફ. જવાનોના પરિવારજનોને પણ સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ થાય એ માટે રાજય સરકાર પણ કોર્પોરેટ કલ્ચરની માફક સુવિધાઓ પુરી પાડવા માટે તત્પર છે. આ તો માત્ર શરૂઆત હોવાનુ જણાવીને આગામી સમયમાં ઉત્તમ સગવડો ઊભી કરવામાં આવશે તેઓ વિશ્વાસ પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનોના પરિવારને ચાવી અર્પણ કરી હતી.

આ પ્રસંગે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ – ૨ અમદાવાદના સેનાપતિ શ્રીમતી મંજીતા વણઝારાએ પ્રાસંગિક પ્રવચન કરીને રાજ્ય અનામત પોલીસ દળ જૂથ – ૨ની સેવાઓ તેમજ પોલીસને મળતી આવાસની સગવડો વિશેની વિગતો આપી હતી.

આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, સર્વે ધારાસભ્યશ્રી પાયલ કુકરાણી, દર્શનાબેન વાઘેલા, હસમુખભાઇ પટેલ, કંચનબેન રાદડિયા,  કૌશિક જૈન, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, આઈ.પી.એસ શ્રી હસમુખ પટેલ, આઈ.પી.એસ શ્રી આર. બી. બ્રહ્મભટ્ટ, આઈ.પી.એસ ડો. પી. કે. રોશન સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ સ્ટાફ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *