ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત યોજાયું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર વેરાવળ એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત આજે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે, ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે વેરાવળ અને કોડીનાર ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેથી ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓમાં પરિવહનની સુવિધા માટેનું માળખું બહેતર બનશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રચાયેલી નવી સરકારે માત્ર ૧૫૦ દિવસમાં રાજ્યમાં ૬૦૦ નવી બસો ફાળવી છે અને આ અઠવાડિયામાં બીજી નવી ૧૨૫ બસો ફાળવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેથી છેવાડાના ગામડાઓને વધુમાં વધુ સારી બસોની સુવિધા સાથે જોડી શકાય. સરકારશ્રીની આ દિર્ઘદ્રષ્ટિથી વિદ્યાર્થીઓ અને વડીલોને પરિવહનની સુવિધા સરળ રીતે મળી શકે એવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરકાર અંતરિયાળ વિસ્તારોમાં જાહેર પરિવહન સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને આ વિસ્તારોને વિકાસની મુખ્ય પ્રવાહમાં જોડવા કટિબદ્ધ છે.

     ઉલ્લેખનીય છે કે અંદાજીત ૨૨,૮૦૮ ચો.મી વિસ્તારમાં રૂ.૪ કરોડ ૪૮ લાખના ખર્ચે વેરાવળ ડેપો વર્કશોપ તથા ૨૧,૪૮૭ ચો.મી વિસ્તારમાં ૪ કરોડ ૧૧ લાખના ખર્ચે કોડીનાર ડેપો વર્કશોપનું નિર્માણ કરાશે.  આ વર્કશોપ સર્વિસપીટ, એડમીન રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, બેટરી રૂમ, ઓઈલ રૂમ, રેસ્ટ રૂમ, ડીએમ ઓફિસ, સહિતની અદ્યતન સુવિધાયુક્ત ધરાવતો હશે.

આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના આગેવાનો જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર નિગમના શીર્ષ અધિકારીઓ અને કર્મચારીઓની પણ ઉપસ્થિતી રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *