
પાસપોર્ટ સેવા કેન્દ્ર અને આધાર સેવા કેન્દ્રમાં પડતી મુશ્કેલીઓ દુર કરવા અલગ ભવન નિર્માણ માટે સંચાર મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરાઈ.
મહેસાણા સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલે જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલીઓ માટે નાગરિકોની રજૂઆત પહેલાં હમેશાં તેને દુર કરવા પહેલ કરી છે. સંવેદનશીલ સાંસદશ્રીએ મહેસાણા જિલ્લા મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અને પાસપોર્ટ સેવા માટે આવતા નાગરિકો તેમજ તેમના પરીજનોની મુશ્કેલી દુર થાય તે માટે ભારત સરકારના રાજ્ય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણને અલગ ભવન બનાવવા માટે રૂબરૂ સંપર્ક કરી રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ,મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્ર અને પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે. આ બંન્ને મહત્વના કેન્દ્રો હોવાથી જિલ્લાના નાગરિકો નો આ સેવાઓ માટે હમેશાં મોટી સંખ્યામાં ધસારો રહે છે. આ બંન્ને કેન્દ્રો પર નાગરિકોની સાથે તેમના પરીજનોમાં બાળકો,વડીલો પણ આવતા હોય છે જેથી તેઓને બેસવા, પાર્કિંગ તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં આધાર સંબંધી સેવાઓ માટે અનેક નાગરિકો નો ધસારો રહે છે, તેમજ તેની સાથે સાથે દૈનિક ૧૨૦ થી વધુ નાગરિકો પાસપોર્ટની સેવાઓ માટે આવતા હોય છે.
સાંસદશ્રી શારદાબેન પટેલે માનવીય અભિગમ સાથે સંચાર મંત્રીને રજૂઆત કરી છે કે, મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસ રહેણાંક ક્ષેત્રમાં આવેલી છે તેમજ આ પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્ર, પાસપોર્ટ સેવા કેન્દ્ર, પોસ્ટ બેન્કીંગ સહિત મુખ્ય પોસ્ટ ઓફિસને કારણે અનેક નાગરિકો નો ધસારો રહે છે. આ ધસારાને કારણે નાગરિકોને સારી સુવિધાઓ આપવામાં મુશ્કેલી પડી રહી છે. મુખ્ય પોસ્ટ ઓફિસની નજીક પોસ્ટ કોલોની આવેલી છે. આ પોસ્ટ કોલોનીમાં જગ્યા પણ ઉપલબ્ધ છે. જેથી આધાર સેવા કેન્દ્ર અને પાસપોર્ટ સેવા કેન્દ્રના ભવન નું પોસ્ટ કોલોનીમાં નિર્માણ કરવામાં આવે તો ગ્રાહકોને સારી સેવાઓ આપી શકાય. મહેસાણા ના નાગરિકો ને મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં સેવાઓ સુલભ રીતે આપવા માટે પોસ્ટ કોલોનીમાં પાસપોર્ટ અને આધાર કેન્દ્રના અલગ ભવન નિર્માણ માટે રજૂઆત કરી હતી.
ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે સાંસદશ્રીની રજૂઆત સાંભળી આગામી સમયમાં તેના હકારાત્મક નિરાકરણ માટે ભરોસો આપ્યો હતો. રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે વ્યક્ત કરેલ હકારાત્મક અભિગમ બદલ શારદાબેન પટેલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
