ભૂમિ સંરક્ષણ અને જળ સંચયથી નાઉરુ સ્વાવલંબનની દિશામાં પ્રગતિ કરી શકશે : રાજ્યપાલશ્રીની શુભેચ્છા


ભારતમાં નાઉરુ ગણરાજ્યના હાઈકમિશનના ઉચ્ચાયુક્ત સુશ્રી મર્લીન ઈનેમવીન મોસેસે આજે ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત મૈક્રોનેશિયાઈ દ્વીપરાષ્ટ્ર નાઉરુના ભારત ખાતેના ઉચ્ચાયુક્ત સુશ્રી મર્લીન મોસેસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ અભિયાનની પ્રશંસા કરતા કહ્યું કે, વિશ્વના સૌથી નાના સ્વતંત્ર ગણરાજ્ય નાઉરુમાં લોકો માત્ર માઈનિંગ અને માછીમારી જાણે છે. અનાજ સહિત તમામ ચીજ વસ્તુઓ આયાત થાય છે, એટલે મોંઘવારી પણ ખૂબ છે. નાઉરુ પણ આત્મનિર્ભર અને સ્વાવલંબી થવા ઈચ્છે છે. તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન ઇચ્છ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિદેશ મંત્રાલયના પરામર્શમાં રહીને નાઉરુમાં ભૂમિ નિષ્ણાત કૃષિ વૈજ્ઞાનિકોને બોલાવી, નાઉરુની જમીનનું સૌપ્રથમ ટેસ્ટિંગ કરાવીને પછી કૃષિ ક્ષેત્રે નિર્ણયો કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફૉસ્ફેટના માઈનિંગની મુખ્ય પ્રવૃત્તિ કરતા ગણરાજ્યને તેમણે વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવાનું સૂચન કર્યું હતું. પાણી અને ભૂમિ માટે યોગ્ય સંશોધનો કરીને આગામી પાંચ વર્ષમાં નાઉરુ અન્ન અને જળના સ્વાવલંબનથી આત્મનિર્ભરતાની દિશામાં પ્રગતિ કરી શકશે તેવી શુભેચ્છાઓ તેમણે વ્યક્ત કરી હતી.
સુશ્રી મર્લીન મોસેસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ટેકનિકલ અને પ્રેક્ટીકલ માર્ગદર્શન મેળવીને પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની મારી આ મુલાકાત અત્યંત ઉપયોગી અને ભાગ્યશાળી બની રહી.
