
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી તથા ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ અને નવીનતા પર રાષ્ટ્રીય નીતિ તથા ફાર્મા મેડટેક ક્ષેત્ર (પીઆરઆઇપી)માં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાની યોજનાનો શુભારંભ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા તથા નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૌલની ઉપસ્થિતિમાં કરશે. આવતીકાલે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પરની રાષ્ટ્રીય નીતિ આગામી દાયકામાં આ ક્ષેત્રને 120-130 અબજ ડોલર સુધી વધારવામાં સંભવિત મદદ કરી શકે છે, જે જીડીપીમાં તેના યોગદાનમાં આશરે 100 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. નીતિનો ઉદ્દેશ ફાર્માસ્યુટિકલ્સમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં પરંપરાગત દવાઓ અને ફાયટોફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો સામેલ છે. નીતિમાં સ્વદેશી રીતે વિકસિત અત્યાધુનિક ઉત્પાદનો અને ટેકનોલોજી મારફતે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા પર વધારે ભાર મૂકવાની જરૂરિયાતને ત્રણ કેન્દ્રિત ક્ષેત્રો પર સ્વીકારવામાં આવી હતી, જેમાં નિયમનકારી માળખાને મજબૂત કરવું, નવીનતામાં રોકાણને પ્રોત્સાહન આપવું અને નવીનતા માટે સુવિધાજનક ઇકોસિસ્ટમ ઊભી કરવી સામેલ છે.
આ કાર્યક્રમમાં નીતિનિર્માતાઓ, હેલ્થકેર ક્ષેત્રના નિષ્ણાતો સહિત અન્ય મહાનુભાવો તેમજ શિક્ષણ, થિંક ટેન્ક્સ, ઉદ્યોગ અને મીડિયાના પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી જોવા મળશે. આ મેળાવડાનો ઉદ્દેશ ભારતની દવા અને ફાર્માસ્યુટિકલ નિકાસના વલણ, ભારતનો કેટેગરી પ્રમાણે નિકાસ હિસ્સો, પ્રસ્તાવના, નીતિની જરૂરિયાત, તેના ઉદ્દેશો, ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને દેખરેખ અને મૂલ્યાંકન વ્યવસ્થા પર પ્રકાશ પાડવાનો છે.