

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા
જામનગર (ભરત ભોગાયતા)
,જામનગર જિલ્લાના પડાણા પાટીયાથી ચંગા પાટીયા વચ્ચેના સર પી.એન. રોડ બે મુખ્ય રાજય માર્ગને જોડતા ૩૦ કી.મી. લંબાઇના મુખ્ય જીલ્લા માર્ગનું બાંધકામ વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની દ્વારારૂા. ૮૬.૯૬ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ માર્ગનું રૂ.૪.૩૦ કરોડના ખર્ચે સમારકામ કરી જિલ્લા પંચાયત વહિવટી તંત્રને સોંપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતમાં આ રોડ પંચાયત માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવ્યો છે. તેમજ સર પી એન સર્કલના ડેકોરેશનની કામગીરી પૂર્ણ થતાં મહાનુભાવોના હસ્તે સર્કલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જામનગર અને લાલપુર તાલુકાના ચંગા, ચંદ્રગઢ, પીપળી, ખોજા બેરાજા, કાનાલુસ, સેતાલુસ, મેઘનું ગામ, આરબલુસ,નવાણીયા, પડાણા, મેઘપર, જોગવડ સહિતના આ વિસ્તારના કુલ ૧૧ ગામો અને નજીકના વિસ્તારના કુલ ૨ લાખ લોકો માટે આ રોડ આશીર્વાદ સમાન છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર,કાર્યપાલક ઈજનેર શ્રી છૈયાભાઇ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ રિલાયન્સના અધિકારીશ્રીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
