વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી વિઝાની લાલચ આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

ફેક વિઝા સ્કેમથી બચવા માટે એજન્ટ પર નિર્ભર રહેવાને બદલે જે-તે દેશના દૂતાવાસ (Embassy) અથવા અધિકૃત કેન્દ્રોનો સીધો સંપર્ક કરવો હિતાવહ: સાયબર તજ્જ્ઞો

વિઝા ફ્રોડનો ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ‘૧૯૩૦’ અથવા www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ કરવી જોઈએ

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે. ત્યારે આવી બનાવટી એજન્સી કેવી રીતે લોકોને ફસાવી શકે છે અને કેવી રીતે સાવધાન રહી શકાય તેના વિશે જાણીએ.

સામાન્ય નાગરિકોને વિઝા સ્કેમનો ભોગ બનાવતી ફેક એજન્સીઓ પોતાને કાયદેસરના વિઝા સર્વિસ પ્રોવાઈડર તરીકે રજૂ કરે છે. તેઓ અરજદારોને વિવિધ પ્રકારની લાલચ આપી જાળમાં ફસાવે છે. જેમ કે, અપફ્રન્ટ પેમેન્ટ સ્કેમ. જેમાં વિઝાની પ્રક્રિયાના બહાને મોટી રકમ એડવાન્સમાં મેળવી એજન્સી અદૃશ્ય થઈ જાય છે.

આવી એજન્સીઓ વિઝા મળવાની ખોટી ખાતરી આપી વિશ્વાસ સંપાદન કરે છે. ત્યાર બાદ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ફી વસૂલવામાં આવે છે. આ માટે નકલી નોકરીની ઓફર પણ આપવામાં આવે છે. ખાસ કરીને, અરજદારોને ખોટા દસ્તાવેજો બનાવી આપી કાનૂની મુશ્કેલીમાં મૂકે છે. તદુપરાંત, વિઝા પ્રોસેસના નામે ક્યારેક લોકોની વ્યક્તિગત અને નાણાકીય માહિતીની ચોરી કરી તેનો દુરુપયોગ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ એજન્સી કામ પૂર્ણ થયા પહેલાં જ સંપૂર્ણ ફી ચૂકવવા માટે દબાણ કરતી હોય, એજન્સી પાસે કાયદેસરના પુરાવા કે લાયસન્સ ન હોય, ખૂબ જ ટૂંકા સમયમાં એટલે કે ‘ઝડપી વિઝા’ અપાવવાનું વચન આપતી હોય કે નિર્ણય લેવા માટે અરજદાર પર સતત માનસિક દબાણ કરતી હોય, તો અરજદારે તરત સાવચેત થઈ જવાની સલાહ સાયબર તજ્જ્ઞો આપે છે.

આ પ્રકારે છેતરપિંડીના વધતા કિસ્સાઓને ધ્યાને રાખી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જનજાગૃતિ માટેની ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ,

  • એજન્સી પાસે વિઝા કામગીરી માટેની સત્તાવાર મંજૂરી છે કે નહીં તેની અગાઉથી તપાસ કરવી.
  • કોઈ પણ એજન્ટ પર નિર્ભર રહેવાને બદલે જે તે દેશના દૂતાવાસ (Embassy) અથવા અધિકૃત કેન્દ્રોનો સીધો સંપર્ક કરવો.
  • ‘વિઝા ગેરંટી’ આપતી લલચામણી સ્કીમો અને કંપનીઓથી દૂર રહેવું.
  • નાણાકીય વ્યવહાર માટે હંમેશાં સુરક્ષિત પેમેન્ટ પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો અને રસીદ આગ્રહપૂર્વક મેળવવી. આમ છતાં, જો કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ બને, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ‘૧૯૩૦’ કે પછી www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ કરવી જોઈએ.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM