-:કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે:-
ફેરબી ટેકનોલોજીની આ પ્રોડકટ રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન માટે અપાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ પ્રોડકટનું નિદર્શન થયું
પ્રતિ મિનીટ ૧૦ લીટરની ક્ષમતા ધરાવતું પ્લગ એન્ડ પ્લે ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર એક સાથે બે દરદીઓને ઓકસીજન આપી શકશે
આ પોર્ટેબલ કોન્સ્ટ્રનટ્રેટર મશીન કોરોનાની પ્રવર્તમાન મહામારીથી સંક્રમિત જરૂરતમંદ દરદીઓને ઓકસીજન પૂરો પાડવામાં ઉપયોગી બનશે
કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ફેરબી ટેકનોલોજી પ્રાયવેટ લિમીટેડના યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું ગાંધીનગરમાં નિદર્શન કર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ યુવાઓને તેમના આ ઇનીશ્યેટીવ માટે અભિનંદન અને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, રાજકોટની આ પહેલ આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતને સાકાર કરશે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટનટ્રેટરનું નિદર્શન કરતાં શ્રી મુકેશ વીરડીયા એ જણાવ્યું કે, ૧૦ લીટર પ્રતિ મિનીટનો ઓકસીજન ફલો ધરાવતું આ મશીન પ્લગ એન્ડ પ્લે-પોર્ટેબલ છે અને તેના દ્વારા એક સાથે બે દરદીઓને સારવાર આપી શકાય તે માટે બે ફલો ધરાવતું આ મશીન છે.
તેમણે કહ્યું કે, આ મશીન પ્રાયોગિક ધોરણે ત્રણ દિવસ માટે ટેસ્ટીંગ કર્યા બાદ હવે રશિયન સ્ટાર્ન્ડડ પ્રમાણેના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરી-પરવાનગીઓ મેળવ્યા બાદ જ ફાયનલ પ્રોડકટ ટ્રાયલ રન માટે તબીબોને અપાશે.
આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરમાં શ્વાસમાં ભેજ આવતો ન હોવાથી ભેજ જન્ય અન્ય રોગ કે મ્યુકોરમાઇસેસીસ જેવા રોગની સંભાવના આ મશીનના ઉપયોગ બાદ નહિવત છે એમ તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિદર્શન નિહાળ્યા બાદ તેમને જરૂરી મંજૂરીઓ મેળવવામાં રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે તેમ યુવા સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.
આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું નિદર્શન રાજકોટ મહાનગરના વોર્ડ-૬ ના કોર્પોરેટર શ્રી બિપીન બેરા સાથે સર્વશ્રી મુકેશ વીરડીયા, રાજેન્દ્રભાઇ, ગોવિંદભાઇ માલીયા અને ઉમેશભાઇ એ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કર્યુ હતું.
