વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે બ્રિટીશ શાસન સમયનું ફોરેસ્ટ થાણાનું રૂા.૧૨ લાખના ખર્ચે નવીનીકરણ કરાતા આજ રોજ આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ વન સહભાગી મંડળીઓને ૬,૫૦૦ જેટલી આંબા અને કાજુની કલમોનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ અવસરે મંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, અધિકારીઓની દીર્ઘદૃષ્ટિ હોય તો વધુ સારી કામગીરી થઇ શકે છે, એ ફોરેસ્ટ થાણાનું રીનોવેશન ઉત્તમ ઉદાહરણ છે. વનવિભાગની સહકારી મંડળીઓને આંબા અને કાજુની કલમો આપી વાડી પ્રોજેકટને વધુ અસરકારક બનાવવોનો પ્રયાસ કરાયો છે. વાડી યોજના થકી ખેડૂતો આર્થિક રીતે પગભર થયા છે. વન વિસ્તારને સાચવવાની જવાબદારી વન વિભાગની સાથે સહકારી મંડળીઓ સારી રીતે નિભાવવાને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં વન વિસ્તારમાં વધારો થવાની સાથે વનો સુરક્ષિત પણ બન્યા છે. આદિવાસીક્ષેત્રમાં વન સહભાગી યોજનાના સુંદર પરિણામો મળ્યા છે. દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીએ વયનિવૃત્ત થતા નાયબ વન સંરક્ષક શ્રી એચ.એસ.પટેલને શુભકામનાઓ પાઠવી હતી.આ અવસરે મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, નાયબ વન સંરક્ષક શ્રી એચ.એસ.પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પટેલ, સરપંચશ્રી દક્ષાબેન અગ્રણી મુકેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, રામદાસભાઈ વરઠા, અબ્દુલભાઇ કાદીર, આજુબાજુના ગામોના સરપંચો, લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.




