વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા(અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારની પેટા ચૂંટણી ૩/૧૧/૨૦૨૦ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાના અમલ માટે એફ.એસ.ટી., એસ.એસ.ટી. તેમજ આચારસંહિતા ટીમો સહિત અન્ય વિભાગોએ કરવાની થતી કામગીરી કરવા સબબે ઇ.ચા. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં ઇ.ચા. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જણાવ્યું હતું કે, આજથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી પૂર્ણ થાય ત્યાં સુધી આચારસંહિતા અમલમાં રહેશે. આ દરમિયાન આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે સંબધિત ટીમોએ તેમની કામગીરી ગંભીરતાથી નિભાવી રોજે-રોજના રીપોર્ટ નિયત નમૂનામાં મોકલી આપવાના રહેશે. સંબંધિત વિસ્તારોમાંથી બેનરો-હોર્ડિંગ્સ સહિત સરકારી જાહેરાતો દર્શાવતા સાઇન બોર્ડ, સરકારી કચેરીઓમાં યોજનાકીય વિગતો દર્શાવતા બોર્ડ તાત્કાલિક ધોરણે ઉઠાવી લેવા પણ જણાવ્યું હતું. ચૂંટણી કામગીરી માટે જરૂરી વાહનો રીકવીઝીટ કરવા અને તેમાં જી.પી.એસ. સીસ્ટમ લગાવવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત, જિલ્લા પુરવઠા અધિકારી અને ચૂંટણી અધિકારી વી.સી.બાગુલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા, વાપી, પારડી અને કપરાડા મામલતદાર સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

