ભગવાન ભોળાનાથનો પવિત્ર શ્રાવણ માસ જયારે કરોડો હિન્દુઓ પૂર્ણ આસ્થા અને શ્રધ્ધાથી ઉજવી રહયા છે ત્યારે ભુજના વોર્ડ નં.૧૦ના ભાજપના નગરસેવકો કશ્યપભાઈ ગોર, ઘનશ્યામભાઈ ઠકકર અને રસીલાબેન પંડયા દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે આ વોર્ડમાં રહેતા રહેવાસીઓને નિ:શુલ્ક સેવાના ધોરણે ભુજની આસપાસ આવેલા શિવ મંદિરોની દર્શન યાત્રા કરાવાઈ હતી. જાહેર જીવનમાં રાજકીય જવાબદારી ઉપરાંત સામાજિક ઉતરદાયિત્વ નિભાવવાનો પ્રયાસ અનુકરણીય હોય છે ત્યારે આ વિસ્તારના પ્રવર્તમાન નગરસેવક કશ્યપભાઈ ગોર દ્વારા અગાઉ પણ સતત ચાર વરસ સુધી આ પ્રકારની યાત્રાનું આયોજન તદન ટોકન ચાર્જથી કરવામાં આવતું હતું અને અનેક વડીલો અને માતાઓના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ યાત્રાનો પ્રારંભ કચ્છ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાહુલભાઈ ગોર, જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષા ગોદાવરીબેન ઠકકર, યુવા ભાજપ ઉપપ્રમુખ તાપશભાઈ શાહે કરાવ્યો હતો જે અંતર્ગત દંતેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, ધોસા મહાદેવ, હનુમાન ટેકરી, કોડકી ગંગાજી તેમજ વિચેશ્વર મહાદેવ ખાતે તમામ શ્રધ્ધાળુઓને દર્શનલાભ પ્રાપ્ત થયો હતો.
આ અંગે નગરસેવક કશ્યપભાઈ ગોરે જણાવ્યું હતું કે, આર.ટી.ઓ. રાજગોર સમાજના યુવાનો તેમજ પક્ષના સંનિષ્ઠ કાર્યકર્તાઓની મદદ વડે પાછલા પાંચ વરસથી આ સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી રહી છે. વડીલોના ચહેરા પરનો આનંદ આ સદપ્રવૃતિને અવિરત આગળ વધારવા માટે બળ પુરું પાડે છે. આ યાત્રામાં જોડાયેલા તમામ યાત્રિકો ભાવ વિભોર બન્યા હતા અને સૌના ચહેરા પર આનંદની
લાગણી વર્તાતી હતી. આવા સત્કાર્યોમાં ઉતરોતર વૃધ્ધિ કરવા માટે પણ સૌ વડીલોએ આયોજકોને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા.


