નશાબંધી અને આબકારી વિભાગ નવસારી દ્વારા ચીખલી તાલુકાના પાણીખડક, નડગધડી અને જામનપાડા ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નશાબંધી વિભાગના શ્રીમતી અનિતાબેન પટેલે ગ્રામજનોને નશાબંધી વિશે માહિતગાર કરી વ્યસનને તિલાંજલી આપવા તેમજ ખાસ કરીને યુવાઓને પણ આનાથી દૂર રહેવા જણવ્યું હતું. વ્યસન આર્થિક રીતે નુકશાન કરે છે તેની સાથોસાથ માનસિક રીતે પણ ખૂબ જ નુકશાનકારક છે. જયાં સુધી સમાજમાં નશાનુ દુષણ રહેશે ત્યાં સુધી વ્યકિત, કુટુંબ તથા દેશની પ્રગતિ થઇ શકે નહિ તેમ જણાવ્યું હતું. નશાબંધી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળ, બીલપુડી, તા.ધરમપુર દ્વારા ગ્રામજનોને તેઓની સરળ ભાષામાં સમજાઇ તે રીતે ઍકપાત્રીય અભિનયથી વ્યસન મુકિત વિશે માર્ગદર્શન આપી જાગૃત કરાયા હતાં. પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વનિતાબેન ગાંવિત દ્વારા ગામજનોને વ્યસન મુકત બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં નડગધરી ગામના સરપંચ શ્રીમતી શકુંતલાબેન, જામનપાડાના સરપંચ શ્રી અમિતભાઇ, નશાબંધી વિભાગના જયદીપભાઇ ગોહિલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.






