
પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં અખાત્રીજના અતિ પાવન દિવસે પુણ્યશાળી નાસિક તીર્થ ક્ષેત્રે પવિત્ર ગોદાવરી નદી કિનારે ભવ્યાતિભવ્ય ૧૦૦૮ કુંડી શ્રીરામ જ્યોતિ મહાયજ્ઞ યોજાયો હતો. પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ અનિલભાઈ અને કશ્યપભાઈ તેમજ હર્ષ સહિત નાશિકના બ્રાહ્મણોની ટીમે સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ વિધાનથી યજ્ઞ કાર્યને સંપન્ન કરાવ્યું હતું. આ શુભ કાર્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાત શિવ પરિવારના હજ્જારો શિવભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા.
આ યજ્ઞનું ધજારોહણ રામનવમીના પવિત્ર દિવસે કરાયું હતું. જ્યારે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો નાખવા આવતી આસુરી શક્તિઓ સામે રક્ષણ આપી યજ્ઞ કાર્ય વિના વિઘ્ને પૂર્ણ થાય તેમજ ધર્મની રક્ષા માટે ભગવાન શ્રીરામના આશીર્વાદ મળે તેવા શુભ આશયથી બે દિવસ અગાઉ યજ્ઞ મંડપમાં ધજારોહણ કરાયું હતું.
યજ્ઞની પૂર્વસંધ્યાએ નાસિક નગરના મુખ્ય રસ્તાઓ ઉપર ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની ભવ્ય શોભાયાત્રા કાઢી સમગ્ર નાસિક શહેરના નગરજનોને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ અવસરે ધર્માંચાર્ય પ્રભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ભગવાનની કૃપા અને માતા પિતાના આશીર્વાદ હોય તેમને જ આવા યજ્ઞમાં સહભાગી બનવાનો અવસર મળે છે. બ્રહ્મ મુહૂર્તમાં કરેલું કાર્ય હંમેશા સફળ જ થાય છે અને તેમાં પણ અક્ષય તૃતીયાના અતિ પાવન દિવસે પવિત્ર નાસિક તીર્થમાં ગોદાવરી નદીના કાંઠે ૧૦૦૮ કુંડી શ્રીરામ યજ્ઞમાં ભાગ લેનારાએ જન્મોજન્મનું પુણ્યનું ભાથું બાંધી લીધું છે. જગતનું કલ્યાણ કરવા ભગવાન શ્રીરામે અવતાર લીધો હતો, જેના પવિત્ર પગલાં અહીં પડ્યા હતા.
આ શુભ અવસરે મહારાષ્ટ્ર શિવ પરિવારના પ્રમુખ આર.કે.ખાંદવે અને ગુજરાત શિવ પરિવારના પ્રમુખ બીપીનભાઈ પરમારે ૧૦૦૮ કુંડી શ્રીરામ જ્યોતિ મહાયજ્ઞમાં સહયોગી નામી-અનામી સૌનો આભાર વ્યકત કર્યો હતો.
આ પવિત્ર યજ્ઞમાં પૂર્વ અધ્યક્ષ અખિલ ભારતીય અખાડા પરિષદ અને પ્રમુખ આનંદ અખાડા ત્ર્યંબકેશ્વરના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સાગરાનંદ સરસ્વતી મહારાજ, કાલારામ રામમંદિર- પંચવટી નાસિકના આચાર્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સુધીર મહારાજ, દેશ-વિદેશમાં જાણીતા ખેરગામના કથાકાર ઈશ્વરભાઈ જોષી, જાલના આશ્રમ-આનંદ અખાડા- ત્ર્યંબકેશ્વરના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ગણેશાનંદ સરસ્વતી મહારાજ, આનંદ અખાડા ત્ર્યંબકેશ્વર નાસિકના શ્રી ૧૦૦૮ મહંત ગિરિજાનંદ સરસ્વતી મહારાજ, નશીકના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર હ.ભ.પ. રામકૃષ્ણ મહારાજ લહવિતકર, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર અધ્યાત્મ શિરોમણી વેણભારતીજી મહારાજ, મુંબઈના જાણીતા રામાયણ/મહાભારત કથાકાર આચાર્ય રસિકભાઈ રાજગુરુ, જનાર્દન સ્વામી આશ્રમ-પંચવટી નશિકના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર માધવગીરીજી મહારાજ, અંજનેરી આશ્રમ, શંભુ પંચ દસનમ આવાહન અખાડા-ત્ર્યંબકેશ્વરના મહંત શ્રી અશોક બાબા ઠાણાપતિ વગેરે સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
યજ્ઞને અનુલક્ષીને ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના હસ્તે જરૂરિયાતમંદ મહિલાઓને વસ્ત્ર દાન કરાયું હતું.
૧૦૦૮ શ્રીરામ જ્યોતિ મહાયજ્ઞને અનુલક્ષીને નાસિકના ચિત્રકાર અને શિવભક્તો પ્રગતિ ભરસટ, વૈભવ ઘોલપ અને નમ્રતાએ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને જાનકી સાથે રામભક્ત હનુમાનની થ્રીડી પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું, જેનું અનાવરણ ધર્માચાર્ય પરભુદાદાના વરદ હસ્તે કરાયું હતું.
આ અવસરે ગુજરાત શિવ પરિવારના શિવભક્તો અમિતભાઇ પટેલ, અપ્પુભાઈ પટેલ, હેમંતભાઇ પટેલ, અશોકભાઈ આસ્થા, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, કૃપાશંકર યાદવ, અજયભાઈ પટેલ, પ્રિતમભાઇ પટેલ, પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્ર શિવ પરિવારના શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
