
આણંદ જિલ્લાવાસીઓને તેમના આંગણામાં એક વૃક્ષ વાવી અને તેના જતન થકી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા આણંદ જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીનું આહવાન કર્યું હતું.

રિપોર્ટ : બીના પટેલ
આણંદ સ્થિત મધુબન રીસોર્ટ સામે આવેલ ઇવીએમ વેરહાઉસ ખાતે આજે ૫ મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કલેકટરશ્રી મનોજ દક્ષિણી, નાયબ વન સંરક્ષકશ્રી એન.ડી.ઇટાલીયન, નાયબ કલેકટરશ્રી વિમલ બારોટ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી લલીતભાઇ પટેલ, મામલતદારશ્રી જેમીની ગઢીયા દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કલેકટરશ્રી મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે ભારતનું ચુંટણી પંચ અને રાજય ચુંટણી પંચની સુચનાનુસાર આજે ૫૦ મા વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર આણંદ જિલ્લાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ. તેમજ અન્ય કર્મીઓ દ્વારા પણ વૃક્ષારોપણના કાર્યની સાથે મતદાન જાગૃતિ અભિયાનને જોડી વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ વૃક્ષો વાવીને તેનું જતન કરીશું તો જ આપણે કલાઇમેટ ચેઇન્જ કરી શકીશું તેમ જણાવી આણંદ જિલ્લાના નગરજનોને તેમના આંગણામાં એક વૃક્ષ વાવી તેના જતન થકી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં આણંદના પત્રકારમિત્રો, માહિતી વિભાગના અધિકારી – કર્મચારીશ્રીઓ તેમજ મહેસુલ અને વન વિભાગના કર્મીઓએ પણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતું.
