
કચ્છની ૧૩ લાખથી વધુ વસતી અને ૨.૭૫ લાખથી વધુ ઘરોને આવરીને સર્વેક્ષણ કામગીરી કરાઈ
ભુજ
કચ્છ જિલ્લામાં હાલમાં અતિભારે વરસાદ હોવાના કારણે ચોમાસા અને ત્યારબાદના મહિનાઓ દરમિયાન મચ્છરોથી ફેલાતા રોગો જેવા કે, મેલેરીયા, ડેન્ગયુ, ચિકનગુનિયાની અસર વધુ જોવા મળે છે. ત્યારે જિલ્લાના લોકો મચ્છરજન્ય રોગચાળાનો ભોગ ન બને તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર સક્રીય બન્યું છે. હાલ તાલુકા સ્તરે ઘરે ઘરે જઇને સર્વે કરીને મચ્છરોના ઉત્પતિ સ્થાનો ઓળખીને તેનો નાશ કરવા સાથે દવા છંટકાવ તેમજ લોકોને પાણી ભરાય તે સ્થાનો ખાલી કરવા તથા વારંવાર સફાઇ કરવા સહિતની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. ત્યારે અત્યારસુધી કચ્છમાં ૧૩ લાખથી વધુ વસતી અને ૨.૭૫ લાખથી વધુ ઘરોને આવરી લઇને વ્યાપક કામગીરી કરાઈ છે. જેમાં ૧૦.૨૮ લાખ થી વધુ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને ૨૮૪૭ થી વધુ મચ્છર ઉત્પાદન સ્થળોને સલામત બનાવાયા છે . હાલ ત્રીજા રાઉન્ડના જિલ્લા સર્વેક્ષણમાં કુલ ૨૫૬૬ ઘરોમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન શોધી કાઢવામાં આવ્યા છે.
આ રોગ ફેલાવતાં મચ્છરો ખાસ કરીને ઘરની અંદર અને તેમજ ઘરની આજુબાજુ ભરાયેલ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગયુ રોગ ફેલાવતા એડીસ મચ્છર ફુલદાની, કુલર, ફ્રિઝની ટ્રે, પક્ષીકુંજ, બિન-ઉપયોગી ટાયરો, નાળીયર અને અન્ય ભંગાર વસ્તુઓ, ખાડા-ખાબોચીયા વગેરેમાં પાણી ભરાયેલા હોય તો તેમાં મચ્છરોનાં પોરા ઉત્પન્ન થાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનક માઢકે આ અંગે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-૨૦૨૨થી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના ૨૨, ચીકનગુનીયાના ૨૬ અને મેલેરિયાના ૩૧ પોઝીટીવ કેસો નોંધતા તંત્ર એલર્ટ બન્યું છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં ત્રણ રાઉન્ડમાં મચ્છર નિયંત્રણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનિયાના નિયત્રંણ માટે સમયસર નિદાન અને વહેલી સારવારની સાથે, પ્રત્યેક ઘરની મુલાકાત અને ખાસ કરીને મચ્છરના સંભવીત ઉત્પત્તિ સ્થાનો શોધીને સલામત બનાવવાની સાથે પોરાનાશક વ્યાપક કામગીરી કરાઈ રહી છે. આ અભિયાનના ત્રીજા રાઉન્ડમાં તા. ૧૬/૭/૨૨ સુધી જિલ્લા આરોગ્ય તંત્ર સર્વેક્ષણ દરમિયાન ૨૫૬૬ ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે. ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા પોરાનાશક કામગીરી દ્વારા અને સલામત બનાવવવાની સાથે લોકોને મચ્છર ઉત્પત્તિ શક્યતા અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૩ લાખથી વધુ વસ્તી અને ૨.૭૫ લાખથી વધુ ઘરોને આવરી લઇને આ વ્યાપક કામગીરી કરાઈ છે. તેના હેતુ ૧૦.૨૮ લાખ થી વધુ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને ૨૮૪૭ થી વધુ મચ્છર ઉત્પાદન સ્થળોને સલામત બનાવ્યા હતા. તેની સાથે ઘર તપાસ દરમિયાન મળી આવેલા તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે ૬૬૫૭ લોકોના લોહીના નમુના લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્રે લોકોને મચ્છરોની ઉત્પત્તિ અટકે તે માટે તકેદારીના જરૂરી પગલા લેવા અનુરોધ કર્યો છે.
વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ રોગના પ્રમાણને ધ્યાને લઇ શહેરી વિસ્તારોમાં ભુજ શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો બનાવી એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રીના સીધા સુપરવિઝન હેઠળ ફીવર સર્વેલન્સ, મચ્છર ઉત્પત્તિ અટકાયત માટે પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવા દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે ખાસ ઝુંબેશનું આયોજન કરેલું છે. તે જ પ્રમાણે જિલ્લા, તાલુકા મથકોએ શહેરી વિસ્તારોમાં પણ ટીમો બનાવી ઘનિષ્ઠ ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવાનું આયોજન કરેલું છે. આગામી સમયમાં કોઈપણ વ્યકિત કે સંસ્થા મચ્છર ઉત્પત્તિ અટકાવવાના સંદર્ભમાં જરૂરી સહકાર ન આપેતો તેવા સંજોગોમાં “ગુજરાત વેક્ટર બોન્ડ ડીસીઝ રેયુલેશન ૨૦૧૭”નાં જાહેરનામાની જોગવાઈ મુજબ નોટીસ પાઠવી અને દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
