

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અને સુચારૂ અમલીકરણ અર્થે
જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીએ અધિકારીઓને આપ્યુ માર્ગદર્શન
તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમમાં પ્રત્યેક જન ભાગીદાર બને તથા તેમનામાં દેશ પ્રત્યેની ભાવના બળવત્તર બને અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગર્વની ભાવના જાગે તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓને કાર્ય કરવા અનુરોધ
આણંદ જિલ્લા માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા શુભાશયથી આગામી તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન હાથ ધરાનાર સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે રાજયના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્ય સચિવશ્રીએ સબંધિત જિલ્લા કલેકટરશ્રીઓને હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી આ કાર્યક્રમ દરમિયાન લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના વધુ પ્રબળ બને તે માટે તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે તે જોવા અનુરોધ કર્યો હતો.
આ વિડીયો કોન્ફરન્સ બાદ આણંદ જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા થીમ સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે તેમ જણાવી આ ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના પ્રત્યેક ઘરો, દુકાનો, ઉદ્યોગ, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ,શાળા – કોલેજો ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવાય તેમજ રાજય કક્ષાની સમિતિ દ્વારા સૂચવવામાં આવેલ સૂચનો અન્વયે કાર્યક્રમનું અસરકારક પરિણામલક્ષી અમલીકરણ થાય તે મુજબનું હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રીએ આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની થનાર ઉજવણીમાં આણંદ જિલ્લાના જન જન ભાગીદાર બને અને તેમનામાં દેશ પ્રત્યેની ભાવના બળવત્તર બને તથા દેશ – રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગર્વની ભાવના જાગે તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીશ્રીઓને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઈ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.
